દિલ્હી-

દેશમાં કોરોના વાયરસ બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં હવે સંક્રમિતોનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 52,509 નવા કેસ નોંધાયા છે અને 857 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 19,08,255 કેસ નોંધાયા છે. જેમાંથી 5,86,244 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 12,82,215 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 39,795 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,760 નવા કેસ નોંધાયા છે અને 300 લોકોના મોત થયા છે. જ્યારે 12,326 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4,57,956 થઈ ગયો છે. તેમાંથી 1,42,458 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 16,142 લોકો મૃત્યુ પામ્યા છે અને 2,99,356 લોકો સારવાર બાદ સાજા થયા છે. 

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,020 નવા કેસ નોંધાયા હતા અને 25 લોકોના મોત થયા હતા. જ્યારે 989 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 65,599 થઈ ગયો છે. જેમાંથી 14,690 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,534 લોકોના મોત થયા છે અને 48,376 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં ચાર ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2,14,84,402 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 6,19,652 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.