બિહારના નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડથી ૯નાં મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2026  |   1980

બિહારમાં નાલંદાના મઘડામાં મંગળવારે સવારે માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડને કારણે ૯ લોકોના મોત થયા છે. ભીડમાં કચડાઈ જવાથી ૮ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક પુરુષનું હોસ્પિટલમાં મોત થયું હતું. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે, શીતળા અષ્ટમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ત્યાં મેળો પણ ભરાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. દર્શન કરવાની ઉતાવળમાં લોકોની ધક્કામુક્કી થઈ ગઈ. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા. અકસ્માત બાદ મંદિર અને મેળો બંધ કરી દેવામાં આવ્યો હતો. ૮ મૃતકોમાંથી ૨ની ઓળખ થઈ શકી છે. તેમાં નાલંદા નિવાસી રીટા દેવી અને રેખા દેવીનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલ લઈ જવાયા છે. દુર્ઘટના બાદ પટના કમિશનરને બિહારશરીફ મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને તપાસના નિર્દેશ આપ્યા છે. દીપનગર પોલીસ સ્ટેશનના એસએચઓ રાજમણિને સસ્પેન્ડ કરાયા છે.સરકારે મૃતકોના પરિવારને ૬ લાખ રૂપિયાનું અને કેન્દ્ર સરકારે ૨ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. પીએમ મોદીએ નાલંદા દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારોને પીએમ રાહત ભંડોળમાંથી ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. ઘાયલોને પણ ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution