અમદાવાદ, દેશની કેન્દ્રિય બેંક દ્વારા વધુ એક બેંક પર આકરા પગલા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત અભ્યુદય કોઓપરેટિવ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આરબીઆઈએ બોર્ડને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કર્યું. આ સાથે આરબીઆઈએ સત્ય પ્રકાશ પાઠકને બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા. જાે કે, કેન્દ્રીય બેંકના આ આકરા પગલાથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. ગવર્નન્સના નબળા નિયમોને કારણે બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અહીં સ્પષ્ટ કરી દઈએ કે અભ્યુદય સહકારી બેંકની કામગીરી પર કોઈ પ્રતિબંધ નથી. આરબીઆઈનું કહેવું છે કે બેંકના ગ્રાહકો માટે સેવા પહેલા જેવી જ રહેશે. આ ફક્ત એક માળખાકીય પગલા લેવામાં આવ્યા છે. અભ્યુદય કોઓપરેટિવ બેંકની શરૂઆત વર્ષ ૧૯૬૪માં કરવામાં આવી હતી. ૫૦૦૦ રુપિયા સાથે બેંકનો પાયો નાખવામાં આવ્યો હતો. તે દૂધના વેપારીઓ અને નાના વેપારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. આ પછી જૂન ૧૯૬૫માં અભ્યુદય કો-ઓપ. બેંકિંગ શરૂ થઈ ગયું છે. વર્ષ ૧૯૮૮માં આરબીઆઈ દ્વારા બેંકને શેડ્યૂલ બેંકની શ્રેણીમાં મૂકવામાં આવી હતી. આ પછી મુંબઈ સહિત ઘણા મોટા શહેરોમાં બેંકની શાખાઓ ખુલી છે. બેંક મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકમાં બિઝનેસ કરે છે. નાના વેપારીઓ અને સામાન્ય લોકોને મદદ કરવા માટે સહકારી બેંકો શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બચત અને રોકાણની ટેવને પ્રોત્સાહન આપવા માટે પહેલ કરવામાં આવી હતી. આરબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે આ સેક્ટર દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા હોવા છતાં, કુલ કૃષિ ધિરાણમાં તેનો હિસ્સો ૧૯૯૨-૯૩માં ૬૪ ટકાથી ઘટીને ૨૦૧૯-૨૦માં માત્ર ૧૧.૩ ટકા થઈ ગયો છે. દેશમાં સહકારી બેંકોની નોંધણી સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર સાથે કરવામાં આવે છે. હાલમાં લગભગ ૮.૬ કરોડ થાપણદારોની ૧૪૮૨ સહકારી બેંકોમાં ૪.૮૪ લાખ કરોડ રૂપિયાની થાપણો છે.