18, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2574 |
વેપારીના હિસાબોની અને દસ્તાવેજોની ચકાસણી કરાશે
જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા વેપારીઓ તોલમાપ ખાતાના કાયદા હેઠળ અને જીએસટી કાઉન્સિલ નક્કી કરે તો એન્ટિપ્રોફિયિટરિંગની જીએસટીની જોગવાઈ હેઠળ દંડ અને સજાને પાત્ર બનશે. અત્યારે એન્ટિપ્રોફિટિયરિંગની કોઈપણ જોગવાઈ અમલમાં નથી. તેથી સરકાર આપણું કંઈ બગાડી શકશે નહીં તેમ માનીને ઘટાડો ન કરનારા વેપારીઓ ફસાઈ શકે છે. જીએસટી એક્ટમાં કલમ 171માં એન્ટિપ્રોફિટિયરિંગની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કલમ હેઠળ જીએસટીના અધિકારીને વેપારી સામે પગલાં લેવાની સત્તા મળેલી છે.
જીએસટી કાઉન્સિલ દ્વારા વેરાના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ કોઈપણ ગ્રાહકને ન આપે તો તે વેપારી સામે પગલાં લેવાની સત્તા અધિકારીઓ પાસે છે. જો કે, કેન્દ્ર સરાકરે કલમ 171(2)ની સત્તાનો ઉપયોગ કરવાની કલમને પહેલી એપ્રિલ 2025થી નિષ્ક્રિય કરી દીધી છે. છતાં સરકારના ધ્યાનમાં આવશે કે જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકને આપવામાં આવતો નથી. તો તેવા સંજોગોમાં આ કલમને એક્ટિવ કરવા માટે એક જ નોટિફિકેશન બહાર પાડવાથી વિશેષ કશું જ સરકારે કરવું પડશે નહીં.