મુંબઇ 

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એક્ટર અર્જુન રામપાલની બીજીવાર પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવ્યું છે. અર્જુને આવતીકાલ, 16 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યા સુધી મુંબઈની એક્સચેન્જ બિલ્ડિંગ સ્થિત NCBની ઓફિસમાં હાજર થવાનું છે. આ પહેલાં અર્જુનની 13 નવેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવી હતી. અર્જુનની અંદાજે સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે હાલમાં જ પકડાયેલા ડ્રગ્સ પેડલર્સની પૂછપરછમાં અર્જુનનું નામ ફરી વાર આવ્યું છે.

13 નવેમ્બરની પૂછપરછ પછી અર્જુન રામપાલે મીડિયામાં કહ્યું હતું, 'હું NCBની દરેક તપાસમાં સહયોગ કરીશ.' આ પહેલાં NCBને રામપાલના ઘરે 9 નવેમ્બરના રોજ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 11 તથા 12 નવેમ્બરના રોજ અર્જુનની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલની પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરની પણ કલાકો સુધી પૂછપરછ કરી હતી. NCBના સૂત્રો પ્રમાણે, રામપાલના ઘરમાંથી કેટલીક પ્રતિબંધિત દવાઓ મળી હતી. જોકે, પહેલીવાર થયેલી પૂછપરછ અંગે NCBએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું.

આ ઉપરાંત અર્જુન રામપાલના ઘરમાંથી મોબાઈલ ફોન તથા લેપટોપ જપ્ત કર્યાં હતાં. NCBએ આ ઈલેક્ટ્રોનિક એવિડન્સનો રિપોર્ટ બતાવીને રામપાલને સવાલ કર્યાં હતાં.

NCBએ ગયા મહિને ગેબ્રિએલ ડેમેટ્રિયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવલામાંથી ધરપકડ કરી હતી. તેની પાસેથી ચરસ અને અલ્પ્રાજોલમ ટેબ્લેટ મળી હતી. તેની પાસેથી મળેલા પુરાવાના આધારે હવે અર્જુનના ઘરે રેડ પાડવામાં આવી. દિવ્ય ભાસ્કરે 1 ઓક્ટોબરે જ અર્જુન રામપાલના ડ્રગ્સ કનેક્શન વિશે જણાવી દીધું હતું. તપાસ એજન્સી મુજબ, અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાઇ કરતો હતો.