વડોદરા, તા.૧૧ 

શહેરના પાણીગેટ વિસ્તારના પંચ ખુણિયા રાણાવાસમાં રહેતા ૨૪ વર્ષીય યુવાને રહસ્યમય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેના લીધે રાણા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પાણીગેટ પંચ ખુણિયા રાણાવાસમાં રહેતા જૈમિન હીરાભાઈ રાણા (ઉં.વ.૨૪) પરિવાર સાથે રહેતો હતો. ગઈકાલે રાત્રે ઘરે આવ્યા બાદ અગમ્ય કારણોસર મકાનના ઉપલા માળે લાકડાના મોભ સાથે ઓઢણી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આજે વહેલી સવારે જૈમિનને ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતાં જાેતાં પરિવારજનો ચોંકી ઊઠયા હતા અને બનાવની જાણ વાડી પોલીસ મથકને કરાઈ હતી. પોલીસ બનાવના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જૈમિનના આપઘાતનું કારણ હાલના તબક્કે અકબંધ રહ્યું છે.