18, ડિસેમ્બર 2024
792 |
અમદાવાદ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે.અમદાવાદ જ નહીં પણ રાજ્યભરમાં ભૂમાફિયાઓ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને નેતાઓના આર્શીવાદથી ફૂલી ફાલી રહ્યાં છે. બીજેપી નેતાઓ સાથેની ભાગીદારીના કારણે હવે તો ભૂમાફિયાઓ જમીન માલિકો પર ખૂની હુમલા કરાવવા સુધીની હિંમત કરવા લાગ્યા છે. પૂર્વ અમદાવાદના છેવાડે ભુવલડી ગામે આવેલી જમીનના માલિકો અને સર્વેયર સહિતના લોકો પર તલવારો, લાકડીઓ અને પાઈપથી હુમલો કરાયો હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. હુમલા કેસમાં ૧૯ આરોપીઓની નિકોલ પોલીસ ધરપકડ કરી ચૂકી છે. હુમલાનો સૂત્રધાર અને ભુવાલડીના મહિલા સરપંચનો પતિ જનક ઠાકોર ઘટના બાદ ભૂર્ગભમાં ઉતરી ગયો છે. ફરાર જનક ઠાકોરે બીજેપી ના પૂર્વ મંત્રી અને એક સિનિયર સ્ન્છ પાસે મદદનો હાથ લંબાવ્યો હોવાની પણ માહિતી સૂત્રો દ્વારા મળી છે.પટેલ પરિવારની જમીન પચાવવા માટે જનક ઠાકોરે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખેલ શરૂ કરી દીધો હતો. જમીન માલિકો જ્યારે ભુવલડી ગામે જમીન ખાતે જાય ત્યારે ભૂમાફિયા જનક ઠાકોર ખુલ્લી જમીનને ગૌચરની જમીન ગણાવતો હતો. ગામના ગૌચરની જમીન પર પ્રવેશ કરવો નહીં તેમ કહીને જનક અને તેના સાગરીતો અવારનવાર ધમકી આપતા. દોઢેક વર્ષ અગાઉ મહિલા સરપંચના પતિ જનકે પોતાના સાગરીતો સાથે મળીને પટેલ પરિવારની માલિકીની જમીન પર ‘રામજી મંદિર’ બાંધવાનું શરૂ કર્યું હતું. જેનો વિરોધ જમીન માલિકોએ કરતા જનક ઠાકોરના તેના મળતીયાઓએ ગ્રામજનોને ઉશ્કેર્યા હતા. ગૌચરની જમીન ગણાવીને જનક ઠાકોર અને તેના મળતીયાઓ અન્યની માલિકીની જમીન પર સમૂહ લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગો પણ યોજતા હતા.પોણા બે વર્ષ અગાઉ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા અપહરણ કેસમાં જનક ઠાકોર અને કુંદન ઠાકોરના મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યા હતા. બીજેપી ના નેતાઓ સાથે આ ભૂમાફિયાઓનો ભારે ઘરોબો છે. ભાજપના પૂર્વ મંત્રી અને હાલના એક ધારાસભ્ય કરોડોની જમીનના મામલાઓમાં વિવાદ ઉભો કરવા તેમજ પચાવી પાડવા માટે જનક ઠાકોર જેવા લોકોનો ઉપયોગ કરે છે.થોડાક વર્ષ અગાઉ એક મંત્રી સત્તામાં હતા ત્યારે જનક ઠાકોર સામે ગુનો નોંધવાની હિંમત પોલીસમાં ન હતી.