ગાંધીનગર-

ગુજરાત ભાજપના પ્રમુખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કઠોર માપદંડ લાદી દેતાં ભાજપના ટિકિટવાંછુઓ પણ આર યા પાર કરવા માટે લાગી ગયા છે, જેમાં મહાનગરપાલિકા બાદ હવે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના દાવેદારોને જાે ભાજપ ટિકિટ ના આપે તો આમ આદમી પાર્ટી કે અપક્ષ નહીં તો નગરપાલિકામાં અલગ નાગરિક સમિતિ બનાવીને ચૂંટણી લડવાના મૂડમાં છે, આ મામલે અસંતુષ્ટોની ખાનગી બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અચાનક જ દાવેદારો અને ઉમેદવારો માટે જે માપદંડ જાહેર કર્યા એનાથી ફક્ત મહાનગરો જ નહિ,

પરંતુ જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ પક્ષમાં ગંભીર પડઘા પડયા છે. જે લોકો ટિકિટના અપેક્ષિત હતા તેવા લોકોને જાે ભાજપ ટિકિટ ના આપે તો તેઓ કોંગ્રેસ કે આમ આદમીમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે; ખાસ કરીને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં અસંતુષ્ટ ટિકિટવાછુંઓની બેઠક શરૂ થઈ ગઈ છે અને જરૂર પડે તો નગરપાલિકામાં નાગરિક સમિતિના નામે પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે,

તો બીજી તરફ જે દાવેદારોને ટિકિટ ના મળે તો પક્ષાંતર કરવાના બદલે પક્ષમાં રહીને જ નિષ્ક્રિય રહેવા અથવા તો ઉમેદવારને નુકસાન કરી શકે એવી શક્યતા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભાજપના નિરીક્ષકોએ અલગ અલગ જિલ્લા અને શહેરોમાં જઈને દાવેદારોની સેન્સ પણ પૂર્ણ કરીને રિપોર્ટ પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડને આપી દીધો હતો. એ પછી એકાએક પાર્લામેન્ટરી બોર્ડે અંતિમ ઘડીએ ઉમેદવાર પસંદગીના કઠોર માપદંડ જાહેર કરતાં દાવેદારોની સાથે પક્ષના કેટલાક નેતાઓ પણ નારાજ થઈ ગયા છે,