અંક્લેશ્વર, ભરૂચ સહિત દેશભરમાં વધતા કોરોના ના કહેરને કાબૂમાં રાખવા હવે વહીવટી તંત્ર અને રાજ્ય સરકારને ફાંફાં પડી રહ્યા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો જે ગતિમાં થઇ રહ્યો છે, તે ગતિમાં દર્દીઓની સારવારની વ્યવસ્થા થઇ રહી નથી. તેથી પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા ની ઓક્સિજન પૂરો પાડતી કંપનીઓ ફક્ત આસપાસના જિલ્લામાં જ નહિ પરંતુ બાજુના રાજ્યોને પણ ઓક્સિજન નો જથ્થો પૂરો પાડી રહી છે.

હોસ્પિટલો સુધી ઓક્સિજન સિલિન્ડર અને ટેન્ક પહોચાડવા માટે પણ હોસ્પિટલોની બહાર વેઇટિંગ થઇ રહ્યુ છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ બનશે તો ઓક્સિજન પુરતા પ્રમાણમાં હશે પરંતુ તેને હોસ્પિટલો સુધી પહોચાડવો પડકાર જનક બની રહેશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સંક્રમણ ઘટવાથી ઓક્સિજન સપ્લાય ચેન હાલની ડિમાન્ડને પહોંચી વળવા પુરતી નથી. ટ્રાન્સપોર્ટેશન થી લઇને ટેક્નિશિયનો ની અપૂરતી સંખ્યા ઓક્સિજન સપ્લાય ચેનને પ્રભાવિત કરી રહી છે.ત્યારે અંકલેશ્વરની વરણી ગેસ કંપની દ્વારા જિલ્લામાં ઓક્સિજન ગેસ નો જથ્થો પૂરો પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંગે વરણી ગેસ ના ડાયરેક્ટર દિનેશભાઇ મેંદપરા એ જણાવ્યુ હતુ કે કંપની દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરના આદેશ અનુસાર ભરૂચ જિલ્લા જ નહિ પરંતુ આસપાસના જિલ્લા અને ગુજરાત રાજ્ય બહાર પણ ઓક્સિજન આપવામાં આવે છે.