અશ્વિને સ્પીનર મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2024  |   5247


કાનપુર:કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને ૭ વિકેટે હરાવ્યું છે. લગભગ બે દિવસ સુધી ચાલેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું અને બે ટેસ્ટ મેચની શ્રેણી ૨-૦થી ક્લીન સ્વિપ કરી. આ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બોલ અને બેટથી શાનદાર યોગદાન આપ્યું હતું. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. અશ્વિને શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનની બરાબરી કરીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેના પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે હતો. હવે અશ્વિને શ્રીલંકાના સ્પિનરની બરાબરી કરી લીધી છે. મુરલીધરને ૬૦ ટેસ્ટ શ્રેણીમાંથી ૧૧માં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. હવે અશ્વિન ૩૯ ટેસ્ટ શ્રેણીમાં ૧૧ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતીને મુરલીધરનના સ્તરે પહોંચી ગયો છે. અશ્વિન હાલમાં એક સક્રિય ખેલાડી છે, તે ભારત માટે સતત ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે, તેથી તેને ભવિષ્યમાં શ્રીલંકાના ક્રિકેટરને પાછળ છોડવાની તક મળશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી આ શ્રેણીમાં રવિચંદ્રન અશ્વિન પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. અશ્વિને આ શ્રેણીની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગ્સમાં મુશ્કેલ સમયમાં સદી ફટકારી હતી. આ શ્રેણીમાં તેના નામે ૧૧૪ રન નોંધાયા હતા. આ સાથે તેણે આ સિરીઝમાં કુલ ૧૧ વિકેટ પણ લીધી છે. અશ્વિને પ્રથમ મેચમાં ૬ અને બીજી મેચમાં ૫ વિકેટ ઝડપી છે. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં પ્રથમ દાવમાં ૨૩૩ રન બનાવ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution