શ્રીનગર-

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું આતંકવાદીઓ વિરૂદ્ધનું અભિયાન સતત ચાલું જ છે અને ફરી એક વખત સુરક્ષા દળોને આ અભિયાનમાં મોટી સફળતા હાથ લાગી છે. રિયાસી જિલ્લાના ગાઢ જંગલોમાંથી સેનાને હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેને જપ્ત કરવામાં આવ્યો છે.

ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે 17 અને 18 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત અભિયાન ચલાવ્યંય હતું જેમાં હથિયારોનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. સુરક્ષા દળોને 17મી ફેબ્રુઆરીની સાંજે કેટલીક શંકાસ્પદ ગતિવિધિની જાણકારી મળી હતી જેથી ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન એકે-47 રાઈફલ, એસએલઆર રાઈફલ, 303 રાઈફલ, મેગેઝીન સાથે 2 પિસ્તોલ, 4 યુબીજીએલ ગ્રેનેડ, એકે-47ના કારતૂસો અને રેડિયો સેટનું એક બોક્સ મળી આવ્યું હતું.

આ તરફ જમ્મુ કાશ્મીર એસઓજીના ૭ અધિકારીઓ અને વિશેષ પોલીસ અધિકારી ઘાટીમાં નવા આતંકવાદી સંગઠનની રડાર પર છે જેને લઈ ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાસંબંધી ચેતવણી આપેલી છે. એજન્સીના અહેવાલ પ્રમાણે કાશ્મીર લિબરેશન વોરિયર્સ નામના એક નવા આતંકવાદી સંગઠને ગત મહિને ટેલિગ્રામ એપ પર જમ્મુ કાશ્મીર પોલીસને ઉદ્દેશીને ધમકીભર્યો પત્ર 'શહીદ નાઈકૂ મીડિયા ગ્રુપ'માં પોસ્ટ કર્યો હતો.