અમદાવાદ-

શહેરના કાંકરીયા ખાતેથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને વંદન કરીને ભાજપે ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ વિધિવત રીતે શરૂ કર્યો હતો. જેમાં છ જેટલા LED રથ દ્વારા મહાનગરપાલિકાઓમાં સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 11 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશનની સ્થાનિક સરકાર દ્વારા કરાયેલા વિકાસલક્ષી કાર્યો દર્શાવતી પત્રિકાનું વિતરણ કરાશે તેમજ વિવિધ મોરચાના સંમેલનો યોજાશે. વોર્ડના વરિષ્ઠ કાર્યકરો, સામાજિક આગેવાનો, વિદ્યાર્થીઓ સાથે મિટિંગ થશે, પેજ સમિતિના કાર્ડનો વિતરણ કાર્યક્રમ પણ થશે. આ સમયગાળા દરમિયાન અનેક નેતાઓની સભાનું પણ તબક્કાવાર આયોજન શહેરમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના 24 કલાક અગાઉ પ્રચાર પડઘમ શાંત થશે.