લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, જુન 2026 |
1584
વૈશ્વિક મંચ પર ભારતની આર્થિક તાકાતનો સ્વીકાર કરતાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ એક મોટું અને પ્રશંસનીય નિવેદન આપ્યું છે. આઈએમએફના જણાવ્યા અનુસાર, મધ્ય-પૂર્વ (ખાસ કરીને ઈરાન)માં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા (ક્રૂડ ઓઈલ) ના ઊંચા ભાવોના આંચકા છતાં, ભારત સમગ્ર વિશ્વના આર્થિક વિકાસના મુખ્ય ચાલક બળ (ગ્રોથ એન્જિન) તરીકે ઉભરી આવ્યું છે. દુનિયાના અન્ય વિકસિત દેશો જ્યારે મંદીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતની આ સ્પીડ વૈશ્વિક અર્થતંત્ર માટે આશાનું કિરણ બની છે. વોશિંગ્ટન ખાતે આયોજિત નિયમિત પ્રેસ બ્રીફિંગ દરમિયાનIMF ના સંચાર વિભાગના ડાયરેક્ટર જુલી કોઝેકે ભારતીય અર્થતંત્રની પીઠ થાબડી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તમામ પ્રકારના બાહ્ય અવરોધો અને ભૌગોલિક-રાજકીય તણાવ છતાં, ભારતની મજબૂત સ્થાનિક માગના કારણે દેશનું અર્થતંત્ર અસાધારણ રીતે સ્થિતિસ્થાપક અને સુરક્ષિત રહ્યું છે. આઈએમએફએ અગાઉ એપ્રિલ મહિનામાં કરેલા સુધારાને જાળવી રાખીને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો વિકાસ દર ૬.૫ ટકા રહેવાનો અંદાજ અકબંધ રાખ્યો છે.
વિદેશી મુદ્રા ભંડાર ૬૭૨ અબજ ડોલરને પાર થયો એક જ સપ્તાહમાં તિજાેરીમાં ૯૬૩ મિલિયન ડોલરનો જંગી ઉમેરો: આરબીઆઈના નવા ડેટા અનુસાર સોનાના મૂલ્યમાં ૪.૧ અબજ ડોલરના વધારાથી ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે વધુ એક ખૂબ જ રાહત આપનારા અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. દેશની કેન્દ્રીય બેંક ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા’દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, ૧૯ જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ૯૬૩ મિલિયન યુએસ ડોલર વધીને ૬૭૨ અબજ યુએસ ડોલરથી વધુની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. દેશની આર્થિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની સ્થિરતા માટે આ વધારો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સોનાના ચમકારાએ ભારતની આર્થિક તાકાત વધારી
આરબીઆઈના અહેવાલ મુજબ, આ વખતે વિદેશી મુદ્રા ભંડારમાં થયેલા આ નોંધપાત્ર ઉછાળા પાછળનું મુખ્ય કારણ ભારતના સોનાના ભંડારના મૂલ્યમાં થયેલો તીવ્ર વધારો છે. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધવાને કારણે ભારતનો ગોલ્ડ રિઝર્વ એક જ સપ્તાહમાં ૪.૧ અબજ યુએસ ડોલરની પ્રચંડ સ્પીડ સાથે વધીને ૧૦૭ અબજ યુએસ ડોલરને પાર થઈ ગયો છે. સોનાના આ મજબૂત સપોર્ટને કારણે જ વિદેશી સંપત્તિમાં થયેલા ઘટાડા છતાં ભારત એકંદરે નફામાં રહ્યું છે.