ભુજ-

ભુજ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળની પ્રથમ લહેરમાં સરકારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લોકોને ભેગા કર્યા અને કોરોના સંક્રમણ ફેલાયું કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખની સહાય મળવી જોઈએ, પરંતુ સરકારે અન્યાય કર્યો છે અને ન્યાય આપવા માટે અમે ન્યાયયાત્રા કરી રહ્યા છીએ, જેમાં કોરોનામા મૃત્યુ પામેલાં લોકોના પરિવારના દુઃખમાં ભાગીદાર બની રહ્યા છીએ. અત્યાર સુધી અમને 22,000 પરિવારોએ પોતાની માહિતી આપી છે અને 4 લાખ રૂપિયા ની સહાય માટે અરજી કરી છે. કોંગ્રેસ પાર્ટી ન્યાય યાત્રા કરી રહી છે, જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા ગુજરાતના દરેક ગામે ગામ મુલાકાત કરવામાં આવી રહી છે. ત્યારે અમારા કાર્યકરો દ્વારા પરિવારને સાંત્વના આપવામાં એવી રહી છે. તથા તમામ માહિતી તથા મૃત્યુ પામનારના ફોટો સાથેની માહિતી મેળવવામાં આવી રહી છે. આમાં જે લોકો મૃત્યુ પામ્યા છે. તેવા લોકોના ફોટો 'વી વીલ રિમેમ્બર વેબસાઈટ' પરના વર્ચ્યુઅલ મેમોરિયલ પર યાદો કાયમી જળવાઈ રહે તે માટે મૂકવામાં આવી રહ્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે નેતા નહીં નિયત બદલવી પડશે, ચહેરા નહીં ચરિત્ર બદલવું પડશે. ભાજપે લોકોને કોરોના કાળમાં ભગવાન ભરોસે મૂકી દીધા હતા. સરકારની લાપરવાહી અને મિસ મેનેજમેન્ટથી લાખો લોકોના મોત થયા હતા. યુવાનો બેરોજગાર થયા, કિસાનો આત્મહત્યા તરફ વળ્યા. આ બધી નિષ્ફળતાઓ છુપાવવા વિજયભાઈનું રાજીનામું લેવામાં આવ્યું છે. દિલ્હી બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વહીવટ ચલાવી રહ્યા છે. તથા નવા મુખ્યપ્રધાનની જાહેરાતમાં ભાજપના સિનિયર અને અનુભવી આગેવાનો નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા લોકોને કિનારે કરી દેવામાં આવ્યા છે.