દિલ્હી-

રાજ્યસભાની 11 બેઠકોની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. 11માંથી નવ બેઠકો ભાજપે મેળવી લીધી હતી. એ સાથે રાજ્યસભામાં ભાજપની સ્થિતિ મજબૂત થઇ ગઇ હતી.

રાજ્યસભામાં ભાજપની બેઠકોનો આંક 92 પર પહોંચ્યો હતો જ્યારે કોંગ્રેસ 38 બેઠકો ધરાવતી હતી. એક સમયે રાજ્યસભામાં કોંગ્રેસની બે તૃતિયાંશ બહુમતી રહેતી હતી એટલે ભાજપ કોઇ નક્કર નીતિનો અમલ કરવાની સ્થિતિમાં નહોતો. આજે કોંગ્રેસ મૃતપ્રાય બની ગઇ હોય એવી છાપ પડી રહી હતી.

રાજ્યસભામાં બહુમતી મેળવવા માટે ભાજપને હવે ફક્ત 31 બેઠકોની જરૂર હતી. એકવાર રાજ્યસભામાં ભાજપની બહુમતી થઇ જાય પછી ભાજપ પોતાના કાર્યક્રમનો અમલ વિના વિરોધે કરી શકશે. રાજ્યસભામાં બહુમતી માટે 123 સભ્યો જાેઇએ. ભાજપના એનડીએના અન્ય સાથીઓની ગણતરી કરવામાં આવે તો ભાજપ પાસે અત્યારે 110 સભ્યો છે. કર્ણાટકમાં ભાજપના સાંસદ અશોક ગસ્તીના અકાળ અવસાનથી એ બેઠક ખાલી થઇ હતી. એની ચૂંટણી પહેલી ડિસેંબરે થવાની છે. એમાં ભાજપની જીત નક્કી છે.

જાહેર થયેલાં પરિણામો મુજબ ઉત્તર પ્રદેશમાં આઠ અને ઉત્તરાખંડમાં એક એમ નવ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી નીવડ્યા હતા. આમ સંસદના ઉપલા ગૃહમાં ધીમે ધીમે ભાજપની સ્થિતિ મજબૂત બની રહી હતી. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા દરેકને એક એક બેઠક મળી હતી. રાજ્યસભામાં અત્યારે કોંગ્રેસની 40 બેઠકો છે. 25મી નવેંબરે પી એલ પુનિયા અને અભિનેતા પોલિટિશ્યન રાજ બબ્બરની બેઠકની મુદત પૂરી થાય છે. એટલે કોંગ્રેસની બેઠકો ઘટીને 38 થઇ જશે. ઉત્તર પ્રદેશથી ભાજપના જે સભ્યો જીત્યા એમાં કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંઘ પુરી, નીરજ શેખ, અરુણ સિંઘ, ગીતા શાક્ય હરિદ્વાર દૂબે, વ્રજલાલ, બીએલ શર્મા અને સીમા દ્વિવેદીનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાં ભાજપના ઉમેદવાર નરેશ બંસલ બિનહરીફ ચૂંટાયા હતા.