બોટાદ-

ગુજરાતના બોટાદ જિલ્લાની લાઢીદડ ગામમાં એક મહિલા સહિત ચાર શ્રમિકોની લાશ સંદિગ્ધ અવસ્થામાં મળતાં સનસની ફેલાઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે ચારેય લાશને પોસ્ટમોર્ટમ માટે સોનાવાલ હોસ્પિટલમાં મોકલી દીધી. જોકે ચારેયના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર બોટાદના લાઢીદડ ગામમાં અમૃતભાઇ પ્રભુભાઇ પટેલની વાડીમાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના કંડમૂડવા ગામની મહિલા સહિત ચાર શ્રમિકોના લાશ મળી હતી. આ ઉપરાંત એક વ્યક્તિ બેભાન અવસ્થામાં મળ્યો હતો. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના કારણ વિશે જાણી શકાશે. હાલ ચારેયની લાશને આસપાસ કોઇ સંદિગ્ધ વસ્તુ મળી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ચારેયને ઝેર આપવામાં આવ્યું છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે.