લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2026 |
2277
અમદાવાદ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને શહેરમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારા મતદાનમાં મહત્તમ લોકો ભાગ લે તે હેતુથી શહેરના પ્રતિષ્ઠિત વેપારી એસોસિએશનો મેદાને આવ્યા છે. ‘પહેલા મતદાન, પછી વેપાર’ના મંત્ર સાથે વિવિધ સંગઠનોએ પોતાના સભ્યો અને ગ્રાહકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. અમદાવાદના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાતા અનેક મહાજનોએ આ વખતે ૧૦૦ ટકા મતદાનનું લક્ષ્ય રાખ્યું છે. કાપડ બજારના હજારો વેપારીઓને પરિવાર સાથે મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા છે. ઝવેરી બજારના વેપારીઓએ પણ લોકશાહીના આ પર્વમાં જાેડાવાનો સંકલ્પ કર્યો છે. વિવિધ નાના-મોટા વ્યાપારી એકમોને મતદાનના દિવસે વિશેષ છૂટછાટ અને જાગૃતિ ફેલાવવા સૂચના આપી છે. વેપારી એસોસિએશનો દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપ્સ, પોસ્ટર્સ અને બેનરો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અનેક સંગઠનોએ એવો પણ સુર વ્યક્ત કર્યો છે કે, શહેરના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકે મત આપવો એ આપણી પવિત્ર ફરજ છે. વેપારીઓના આ પ્રોત્સાહક અભિગમને કારણે મતદાનની ટકાવારીમાં મોટો ઉછાળો આવવાની વહીવટી તંત્રને આશા છે.