ગાંધીનગર-

કોરોનાથી માંડ સાજા થયા બાદ હવે મ્યૂકર માઈકોસિસ બીમારીએ મુશ્કેલી વધારી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલાં એટલે કે સોમવારે મ્યૂકર માઈકોસિસના ૧૦૫ દર્દી દાખલ હતા, જાેકે બે જ દિવસમાં ઉપરા છાપરી નવા ૮૬ કેસ આવતાં ભારે દોડધામ મચી જવા પામી છે, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ કહ્યું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બીજા બે વોર્ડ કાર્યરત્‌ કરી દેવાયા છે, કુલ ચાર વોર્ડ કાર્યરત છે અને પાંચમો વોર્ડ શરૂ કરવા કવાયત્‌ હાથ ધરાઈ રહી છે. એકલા અમદાવાદની સિવિલમાં જ અત્યારે મ્યૂકર માઈકોસિસના ૧૯૧ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ગુજરાતના ૪ મહાનગરોમાં મ્યૂકરમાઈકોસિસના સૌથી વધુ દર્દીઓ રાજકોટમાં નોંધાયા છે, જેના કારણે તંત્ર હચમચી ગયું છે. આજે મ્યુકરમાઈકોસિસ અંગે રાજકોટ કલેક્ટર એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. કલેક્ટરે જણાવ્યું છે કે મ્યુકરમાઈકોસિસના પગલે તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના દૈનિક સરેરાશ ૫૦ કેસ નોંધાય છે. તંત્ર દ્વારા જરૂર પડ્યે ૫૦૦ બેડની તૈયારી દર્શાવાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારનું માર્ગદર્શન લેવાઈ રહ્યું છે. અમદાવાદમાં કોરોના બાદ મ્યુકરમાક્રોસીસના વધતા કેસ સરકાર અને તંત્ર હચમચી ગયું છે. સિવિલ હોસ્પિટલમાં ૨ દિવસમાં મ્યુકરમાક્રોસીસના ૧૨૭ દર્દીઓ એડમિટ થયા છે. ૧૨ તારીખે ૫૫ ,જ્યારે ૧૧ તારીખે ૭૨ દર્દીઓ સિવિલ હોસ્પિટલમા એડમિટ થયા છે. છેલ્લા ૨ દિવસમાં દર ૧ કલાકે ૩ દર્દીઓ એડમિટ થયા છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં ૨૫૦ની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૫૦ માંથી ૨૨૧ બેડ ભરાઈ ગયા છે. માત્ર ૧૫ ટકા બેડ જ ખાલી રહ્યા છે. સર્જરી વાળા દર્દીઓ વધતા આજથી ૨૪ કલાક મ્યુકરમાક્રોસીસના દર્દીઓ માટે સર્જરી શરૂ કરાશે. મ્યુકરમાક્રોસીસના દર્દીઓ વધતા કોવિડમાં લાગેલ સ્ટાફને પાછો બોલવામાં આવ્યો છે. દર્દીઓ વધતા એક પછી એક વોર્ડ ખોલવા પડી રહ્યા છે. દર્દીઓને બીમારીમાં વપરાતા ઇજેક્શનની અછત પણ વર્તાઈ રહી છે.

ઈએનટી વિભાગ સાથે સંકળાયેલા તબીબોએ કહ્યું કે, અમદાવાદ જ નહિ પરંતુ આખા ગુજરાતમાં મ્યૂકર માઈકોસિસના નવા કેસો સામે આવી રહ્યા છે, એટલું જ નહિ પરંતુ ગુજરાતમાં આ બીમારીની સારવારમાં વપરાતા ઈન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે, આમ ઈન્જેક્શન વિના વિવિધ જિલ્લામાં આ રોગની સારવાર મુશ્કેલ બની છે, જેને કારણે રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના વિવિધ શહેર જિલ્લામાંથી આ રોગના નવા દર્દીઓનો ધસારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યો છે. અત્યારે ૧૯૧ જેટલા દર્દીઓ સિવિલમાં છે, જેમાંથી ૫૦ જેટલા દર્દીઓ અમદાવાદના છે, બાકીના ૧૪૧ જેટલા દર્દી ગુજરાતના વિવિધ શહેર જિલ્લાના છે. સૂત્રો કહે છે કે, સિવિલની ડેન્ટલ કોલેજમાં ૨૭ જેટલા દર્દી છે. સિવિલના ઈએનટી વિભાગના ડો. કલ્પેશ પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાથી સાજા થયેલા એવા દર્દી કે જેમને ડાયાબિટીસ છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તે વધુ કેસ સામે આવ્યા છે.