લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026 |
2673
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં રોડ-શો યોજાયો હતો. કાર્યકરોની અદભૂત ઊર્જા અને ઉમંગ તેમજ વિશાળ જનસમર્થન સાથે રોડ-શોનો શ્યામ શિખર ચાર રસ્તાથી પ્રારંભ થયો હતો. ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર એપ્રોચ, લીલાનગર, ખોડિયાર નગર રોડ, ૮૦ ફૂટ રોડ બેટી બચાવો સર્કલ થઈ ૮૦ ફૂટ રોડ ખોડિયાર મંદિર ખાતે આ ભવ્યાતિભવ્ય રોડ-શોનું સમાપન થયું હતું. આ રોડ-શો બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર અને વિરાટનગર વિસ્તાર માથી પસાર થયો હતો. રોડ-શો ના સમગ્ર રૂટ દરમિયાન યુવાઓ, મહિલાઓ અને વડીલો સહિત સૌ નાગરિકોએ પુષ્પવર્ષા કરી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આવકાર્યા હતાં. ભાજપાના કેસરિયા ધ્વજ, કેસરી ખેસ તેમજ ભાજપાના પ્રચાર ગીત તથા દેશભક્તિના ગીતો, વંદે માતરમ્ અને ભારતમાતા કી જયના નારાની ગુંજ અને ઢોલ નગારાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ઉર્જામય બન્યું હતું અને જાણે કેસરિયો સાગર સર્જાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. મુખ્યમંત્રી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષએ સૌ નાગરિકોનું અભિવાદન ઝીલી ભાજપાને અભૂતપૂર્વ સમર્થન દર્શાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો. રોડ-શો દરમિયાન પ્રજામાં જાેવા મળેલ ઉત્સાહ અને સ્વયંભૂ સમર્થન આવનારી ચૂંટણીમાં ભાજપાના જંગી વિજયની સાક્ષી પૂરી રહ્યો હતો.
કોંગ્રેસની પણ બાપુનગરમાં રેલી
કોંગ્રેસ દ્વારા આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં રેલી અને મોટી સભા કરવાના બદલે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો. ઉમેદવારો મતદારોને આકર્ષવા મતદારોના ઘરે જઈને તેમની સમસ્યાનો નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. પરંતુ અંતિમ ઘડીએ મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ રેલી યોજી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપના ઉમેદવારો માટે જે જગ્યાએ રોડ શો કર્યો હતો તે જ રૂટ પર બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ રેલી યોજી હતી. જાે કે રેલી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આમને સામને આવી જતા કાર્યકર્તાઓએ ઉગ્ર નારેબાજી પણ કરી હતી.