દિલ્લી,તા.૧૦

ભારતમાં આ સમયે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જાેકે રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના કેસ ધીમે-ધીમે ઓછા થઈ રહ્યા છે. તેની વચ્ચે પોતાની જાતને સંત માનતા પાખંડી નિત્યાનંદનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે ભારતમાં કોરોના ત્યારે ખતમ થશે જ્યારે તે ભારતની ધરતી પર પગ મૂકશે. થોડાક દિવસ પહેલાં એક વીડિયોમાં નિત્યાનંદનો એક શિષ્ય સવાલ કરે છે કે કોરોના ભારતમાંથી ક્યારે જશે. તેનો જવાબ આપતાં નિત્યાનંદે કહ્યું કે દેવી અમ્માન તેના આધ્યાત્મિક શરીરમાં પ્રવેશ કરી ચૂકી છે. કોરોના ભારતમાંથી ત્યારે જશે, જ્યારે તે ભારતની ધરતી પર પગ મૂકશે. નિત્યાનંદનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નિત્યાનંદે ૧૯ એપ્રિલે જાહેરાત કરી હતી કે કોરોનાની બીજી લહેરના કારણે ભારતથી આવનારા શ્રદ્ધાળુઓને કૈલાશા ટાપુ પર આવવાની મનાઈ છે. તેની સાથે જ તેણે બ્રાઝિલ, યૂરોપિયન યૂનિયન અને મલેશિયાથી આવનારા લોકો પર રોક લગાવવાની જાહેરાત કરી. નિત્યાનંદ સ્વામી પર યૌન ઉત્પીડનનો આરોપ છે. વર્ષ ૨૦૧૯માં નિત્યાનંદ ભારત છોડીને ફરાર થઈ ગયો હતો. નિત્યાનંદ દાવો કરે છે કે તેણે એક વર્ચ્યૂઅલ આઈલેન્ડની સ્થાપના કરી છે. જેને તેણે કૈલાશા નામ આપ્યું છે. દાવા પ્રમાણે નિત્યાનંદનો આ આઈલેન્ડ ઈક્વાડોરના કિનારાની આજુબાજુ ક્યાંક છે. નિત્યાનંદ પર અનેક મહિલાઓએ યૌન શોષણનો પણ આરોપ લગાવ્યો છે.