લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2026 |
2772
કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટ અન્ય રાજ્યોમાં પણ મોડેલરૂપ અને પ્રેરક બની છે એમ જણાવી ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે વીમા ખર્ચમાં વધારો, કાર્ગોમાં વિલંબ અને સપ્લાય ચેઈનની ગંભીર સમસ્યાઓ વચ્ચે પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ સુરક્ષિત રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ, હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા તણાવ છતાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે.
આ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા ૪ વર્ષ અને ૬૦ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરાયો નથી. તેમણે પાડોશી દેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પશ્ચિમના પાડોશી દેશે એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં ૪૨.૭% અને ડીઝલમાં ૫૪.૦૯% નો વધારો કર્યો છે. તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશોમાં પણ ઈંધણના ભાવમાં ૩૯%થી ૬૬% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. વિશ્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેશનિંગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જાેવા મળી છે, પરંતુ ભારતે ‘પેનિક’ (ગભરાટ)ને ક્યારેય પોતાની નીતિ બનવા દીધી નથી. ભારતીય રસોડામાં કોઈ પણ ચીજવસ્તુની અછત વર્તાવા દેવામાં આવી નથી.