૫૦૦ની લાંચ લેતા ઝડપાયેલા ઇ-ધરાનાં નાયબ મામલતદારને ત્રણ વર્ષની સજા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026  |   3762

૨૫ વર્ષ પહેલા દસ્તાવેજને હક્કપત્રકમાં દાખલ કરવાની કાર્યવાહી માટે ૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા માંગરોળ ઇ-ધરાનાં નાયબ મામલતદારને કોર્ટે કસૂરવાર ઠેરવી ૩ વર્ષની સજા અને રૂ.૧૦,૦૦૦ દંડ ન ભરે તો વધુ એક મહિનાની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવિ છે કે ફરિયાદી દ્વારા પોતાના તથા પત્નીના નામે હથ્થુરણ ગામે આવેલી જમીન (સર્વે નં. ૬૭૧/૧૬૭૧/૪, પ્લોટ નં. ૫૫)નો દસ્તાવેજ સબ-રજિસ્ટ્રાર, માંગરોળ ખાતે નોંધાવ્યો હતો. આ દસ્તાવેજને હક્કપત્રકમાં દાખલ કરવાની કાર્યવાહી માટે આરોપી સન્મુખ કરશનભાઈ ચૌધરી, તત્કાલીન નાયબ મામલતદાર, ઈ-ધરા માંગરોળ (વર્ગ-૩)એ ફરિયાદી પાસે રૂ.૫૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ બાબતે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવતા છટકું ગોઠવાયું હતું. તા.૨૩ માર્ચ ૨૦૧૦ના રોજ લાંચ સ્વીકારતા જ આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ કેસમાં સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૭, ૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયા દરમિયાન મૌખિક, દસ્તાવેજી સહિતના પુરાવાઓ આધારે આરોપીને દોષિત જાહેર મારવામાં આવ્યો હતો કલમ ૭ હેઠળ ૩ વર્ષની સજા અને રૂ. ૧૦,૦૦૦ દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution