ભરૂચના વિવિધ માર્ગો પર ઢોરોએ અડિંગો જમાવતાં વાહનચાલકોને અકસ્માતની ભીતિ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2020  |   2970

ભરૂચ : ભરૂચ જીલ્લામાં એક તરફ કોરોનાનો કહેર તો બીજી તરફ જાહેરમાર્ગો ઉપર અડિંગો જમાવતાં ઢોરોના ત્રાસથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.જો કે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી પોલીસ પણ જાહેરમાર્ગો ઉપર અડીંગો જમાવતા ઢોરોના માલિકો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે.જાહેરમાર્ગો પર પોલીસે લગાવેલા કેમેરામાં વાહનચાલકોના ઘરે ઈ-મેમો ચલણ પહોંચાડવામાં આવી રહ્યું છે. 

ટ્રાફિકને અડચણરૂપ અડિંગો જમાવતાં તેમજ જાહેરમાર્ગો ઉપર તોફાને ચડતા આખલાઓના ત્રાસથી અકસ્માત સર્જાઈ રહ્યા છે.તેનું શું તેવા પ્રશ્નો ઉભા થયા છે.ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં શાકભાજી માર્કેટ સહિત સતત રાહદારીઓ થી ધમધમતા વિસ્તારમાં આખલાઓ તોફાને ચઢી રહ્યા છે.જેના કારણે વાહનચાલકો માં પણ ભયનો માહોલ ઉભો થયો છે.તોફાને ચડતા આના કારણે વારંવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાઈ રહી છે.પરંતુ આ સમગ્ર ઘટના પોલીસના સીસીટીવી કેમેરામાં કેદ કેમ નથી થતી તેવા પ્રશ્નો ઉભા થયા છે.વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના ઘરે ઈ-મેમો ચલણ પહોંચાડવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવે છે.પરંતુ વાહનચાલકોને અડચણરૂપ અડીંગો જમાવતા ઢોરો અને યુધ્ધે ચઢેલા આખલાઓના ત્રાસ સામે પોલીસ ભરૂચ નગર પાલિકા કે જે તે વિભાગના અધિકારીઓને દંડ કેમ નથી કરતા તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે.ભરૂચના કલેકટર કચેરીથી મામલતદાર કચેરી નજીકના ભૃગુઋષિ બ્રિજ સુધીના મુખ્ય રોડ ઉપર ડિવાઈડરો તથા વાહનો અડચણરૂપ અડીંગો જમાવતા ઢોરોના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહેશે અને વારંવાર ટ્રાફિક ના દ્રશ્યો સર્જાયા છે.ત્યારે ભરૂચ નગર પાલિકા જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને પકડવા માટે ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.છતાં પણ જાહેર માર્ગો ઉપર ઢોરોના અડીંગાનો ત્રાસ યથાવત રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution