દિલ્હી-

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન પર તણાવ દરરોજ વધી રહ્યો છે. આ તંગ પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે વાતચીતનો દોર પણ ચાલી રહ્યો છે. દરમિયાન એલએસી પર ફાયરિંગ અંગે એક નવો ઘટસ્ફોટ થયો છે. જાણવા મળ્યા મુજબ વિદેશમંત્રી એસ.કે. જયશંકર અને તેના ચીની સમકક્ષ વાંગ યીની મુલાકાત પહેલા બંને સેના વચ્ચે પેંગોંગ નજીક ફાયરિંગ થયું હતું. એક અધિકારીના કહેવા પ્રમાણે બંને તરફ 100-200 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ફાયરિંગની ઘટનાઓ તે સમયે બની જ્યારે બંને દેશોની સેના ફિંગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. અત્યાર સુધી ચીન કે ભારતે આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ અગાઉ ચૂશુલ સેક્ટરમાં ફાયરિંગની ઘટના બની હતી. મહત્વપૂર્ણ છે કે એલએસી પર થોડા દિવસોમાં ત્રણ વખત ભારત અને ચીની સેના વચ્ચે ફાયરિંગની ઘટના બની છે.