અમદાવાદ-

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ અને શિક્ષણ વિભાગના રાજ્યપ્રધાન પ્રબોધકાંત પંડ્યાનું 77 વર્ષની વયે રવિવારે વહેલી સવારે અમદાવાદ ખાતે નિધન થયું છે. તેઓ વર્ષોથી સંતરામપુર મત વિસ્તારમાંથી ચૂંટાઇ આવતા હતા. ચીમનભાઈ પટેલના પ્રધાનમંડળમાં તેઓ શિક્ષણ અને ગૃહ રાજ્યપ્રધાન પણ રહી ચૂક્યા હતા. પ્રબોધકાંત પંડ્યા સંતરામપુર તાલુકામાં આદિવાસીના વિકાસ માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેતા હતા. હાલના મહીસાગર જિલ્લાના કડાણા નજીકના મહીસાગર કિનારે આવેલા નદીનાથ મહાદેવના વિકાસમાં તેઓનો મોટો ફાળો રહેલો છે. જેને ધ્યાનમાં રાખી તેમના અંતિમસંસ્કાર માટે આજે તેમને કડાણા તાલુકાના જાગુના મુવાડા લઈ જવામાં આવ્યા છે અને મહીસાગર નદીના પવિત્ર કિનારે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.  ગુજરાત સરકારના પૂર્વ ગૃહપ્રધાન અને શિક્ષણ પ્રધાન તરીકે ફરજ બજાવનાર પ્રબોધકાંત પંડ્યાનું 77 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું છે. અમદાવાદમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેઓનું નિધન થયું છે. પ્રબોધકાંત પંડ્યાના પાર્થિવ દેહને તેમના વતન લઈ જવામાં આવશે.