અમદાવાદ-

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા જમીનદલાલનું પાંચ શખસે અપહરણ કરી રૂ. એક કરોડની ખંડણીની માગ કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. આરોપીઓએ જમીનદલાલને ગત્રાડ ગામ નજીક લઇ જઈ માર મારી કેનાલમાં ફેંકવાની ધમકી આપી ૩૬ તોલાનો રૂ. ૧૪ લાખનો સોનાનો દોરો પડાવી લીધો હતો. બાકીના ૭૦ લાખનો સોદો તેના મિત્ર થકી કરાવી અને બાદમાં તેને છોડી ફરાર થઇ ગયા હતા. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે પાંચેય આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘોડાસર વિસ્તારમાં રહેતા કરણ ભટ્ટ છેલ્લાં ૧૫ વર્ષથી જમીન લે-વેચની દલાલી કરે છે.

બે દિવસ પહેલાં રાતે નવ વાગ્યે કરણને જશોદાનગર ચાર રસ્તા પાસે કેડિલાબ્રિજ પર મહેશ સોમા રબારી નામના શખસે હાથથી ઇશારો કરી ઊભો રાખ્યો હતો. એક કાર પાછળ મરુન કલરની એક બ્રેઝા કાર પણ ઊભી હતી, જેમાં બે શખસો સવાર હતા. મહેશ રબારીએ બળજબરી કરી કરણ ભટ્ટને ગાડીમાં બેસાડી વસ્ત્રાલ ખાતે નૈયા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લઇ ગયા હતા, જ્યાં એક કરોડ ખંડણીની માગ કરી હતી. મહેશ રબારીએ ધમકી આપતાં કહ્યું હતું કે તું દલાલીમાં બહુ પૈસા કમાયો છે, જેથી તારે અમને એક કરોડ ખંડણી પેટે આપવા પડશે. જાે નહીં આપે તો ગોળી મારી દઇશ, જાેકે પીડિત કરણ ભટ્ટે પૈસા આપવાનું ના કહેતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને માર મારવા લાગ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ હત્યા કરવાની ધમકી આપી ગત્રાડ ગામે લઈ જઈ કેનાલમાં ફેંકવાની ધમકી આપી હતી. આરોપીઓએ કરણ પાસે ફોન કરાવીને તેના ભાઇ જાેડે ૩૬ તોલા સોનાનો દોરો મગાવી લઈ લીધો હતો.