અમદાવાદ-

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આવતીકાલે 3જી નવેમ્બરે મતદાન થશે. મતદાનને લઈને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ તૈયારીઓને લઈને માહિતી આપી હતી. રાજ્યના ચીફ ઈલેક્શન કમિશનર ડો. એસ મુરલીકૃષ્ણને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે તેવી માહિતી આપી હતી. રાજ્યમાં અબડાસા, ધારી, લીંબડી સહિતની 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. તેમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિતની પાર્ટીઓ અને અપક્ષ મળીને 80 ઉમેદવારો વચ્ચે જંગ છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ.મુરલીકૃષ્ણને પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. આવતી કાલે રાજ્યની 8 વિધાનસભા બેઠકોનું મતદાન થશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 8 બેઠકની પેટાચૂંટણી માટે 18.75 લાખ મતદારો નોંધાયા છે. 1500ને બદલે એક હજાર લોકો એક મતદાન મથક પર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકશે. 

રાજ્યસભાની ચૂંટણી દરયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડીયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા. ત્યાર બાદ જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા હતા. જેના પગલે 8 બેઠકો પર આવતીકાલે પેટાચૂંટણી યોજાઈ રહી છે.