ગાંધીનગર

તા. ૧ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે. તો ગુજરાત સરકાર દ્વારા પણ બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને આખરી તૈયારીઓ ચાલી રહી છે. તા.  ૧ માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા ૨૪ દિવસ સુધી આ બજેટ સત્ર ચાલશે.

આગામી ૧ માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. આ બજેટ સત્ર ૨૪ દિવસ સુધી ચાલી શકે છે. પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધિત કરશે. રાજ્યપાલના સંબોધન બાદ રાજ્યના પૂર્વ બે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાતના આ પૂર્વ મુખ્યમંત્રીઓના નિધન થયા છે.

રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે. તો અંદાજ પત્રની સામાન્ય ચર્ચા માટે પાંચ દિવસનો સમય ફાળવવામાં આવશે. અંદાજપત્રની માગણીઓ પર ૧૨ દિવસ ચર્ચા થવાની છે. વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો રજૂ કરશે. તો બજેટ સત્રમાં કેગનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે.