ગાંધીનગર-

રાજ્યમાં સરકારનું વિસ્તરણ થયા બાદ ઘણા મોટા ફેરફાર આવ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે પણ મહત્ત્વના ફેરફાર થઈ રહ્યા છે. તો હવે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી રહેલા રાજેન્દ્ર ત્રિવેદી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાનોની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ હવે ગઈકાલે નીમાબેન આચાર્યએ પણ કાર્યકારી અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે ટૂંક સમયમાં જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદેથી જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કચ્છને કોઈ પણ પ્રકારનું નેતૃત્વ મળ્યું નથી ત્યારે કચ્છ રિજિયનમાંથી ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને અધ્યક્ષ પદ આપવામાં આવે તેવી પણ પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે. જો વિધાનસભામાં ડો. નીમાબેન આચાર્યને અધ્યક્ષ બનાવવામાં આવે તો ગુજરાતને પ્રથમ વખત મહિલા અધ્યક્ષ મળશે. મહિલા અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્યનું નામ અત્યારે પ્રબળ દાવેદાર ચર્ચાઈ રહ્યું છે ત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડને જવાબદારી સોંપાય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે હવે વિધાનસભા દ્વારા સત્તાવાર જાહેરાત બાદ જ ખબર પડે કે ગુજરાત વિધાનસભાને મહિલા અધ્યક્ષ મળશે કે નહીં? જોકે આવનારા દિવસોમાં જ કોણ ગુજરાત વિધાનસભા અધ્યક્ષનું સ્થાન શોભાવશે તે જોવું રહ્યું.