મુંબઇ 

ડ્રગ્સ કેસમાં એક મહિના સુધી મુંબઈની ભાયખલા જેલમાં રહેનાર રિયા ચક્રવર્તીના 7 ઓક્ટોબરના રોજ જામીન મળ્યા હતા અને તે જેલમાંથી બહાર પણ આવી ગઈ છે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ તેને બંગાળની વાઘણ ગણાવીને કહ્યું હતું કે તે જરૂરથી કમબેક કરશે અને તમામ મૂર્ખાઓનો સામનો કરશે.

રિયા ચક્રવર્તીની બદનામી અંગે માનશિંદેએ કહ્યું હતું, 'બોમ્બે હાઈકોર્ટે મીડિયા ટ્રાયલની ભૂમિકાની પણ તપાસ કરી છે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં મીડિયા ટ્રાયલની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે. એક ચેનલે મારી ફી, મારી કાર તથા મારી ઓફિસ અંગે ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયામાં પર મને ટ્રોલ કરવામાં આવ્યો હતો. મારી ફી સાથે કોઈને શું મતલબ?'

વકીલે વધુમાં કહ્યું હતું, 'સુશાંત સિંહ રાજપૂતનો પરિવારને રિયા પ્રત્યે બદલાની ભાવના હતી. લોકો રિયાને એટલા માટે ટાર્ગેટ કરતા હતા, કારણ કે તે સુશાંત સિંહની પ્રેમિકા હતી, તેની લિવ-ઈન પાર્ટનર હતી. તે ઘરને ચલાવતી હતી.'

વકીલે કહ્યું હતું, 'હું અંગત રીતે વર્ષો બાદ મારા કોઈ ક્લાયન્ટને જોવા માટે જેલ ગયો હતો. હું જોવા માગતો હતો કે તે કઈ પરિસ્થિતિમાં છે. મેં જોયું કે તે ઠીક હતી. જેલમાં તે પોતાનું ધ્યાન રાખતી હતી. તે અન્ય કેદીઓની સાથે મળીને યોગ કરતી હતી. તેણે જેલમાં પોતાને એડજસ્ટ કરી લીધી હતી. કોરોનાને કારણે ઘરેથી ભોજન આવી શકે તેમ નહોતું. બાકી કેદીઓની જેમ જ રિયાએ પણ સામાન્ય સુવિધાની વચ્ચે રહી હતી. એક આર્મી ગર્લ હોવાને કારણે તેણે આ પરિસ્થિતિનો યુદ્ધની જેમ સામનો કર્યો. હવે તે દરેક વ્યક્તિને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. રિયા એટલા માટે ડરી ગઈ હતી, કારણ કે તેની પાછળ તેનો પરિવાર છે.'