લોકડાઉનના કારણે દેશમાં ઘણા મંદિરોની આર્થિક સ્થિતિ બગડી ગઇ છે. આ બધાની વચ્ચે કેરળમાં મંદિરોની આવક વધારવા અને આર્થિક આધારને મજબુત બનાવવા માટે ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ (ટીડીબી) કેરળના મંદિરોમાં રાખેલા અનયુઝ્ડ સામાન અને તાંબા-પીતળને વેચવા જઇ રહ્યું છે. તેની માત્રા સેંકડો ટનમાં હોવાનું જાણવા મળ્યું છે.

  ટીડીબી કેરળમાં ૧,૨૪૮ મંદિરોના મેનેજમેન્ટનું કામ કરે છે. તેમાં પ્રસિદ્ધ સબરીમાલા મંદિર, તિરુવનંતપુરમમાં પદ્મનાભસ્વામી મંદિર, હરિપદ શ્રી સુબ્રમણ્યમ મંદિર, એટ્ટમનુર મહાદેવા મંદિર પણ સામેલ છે. ટીડીબીના આ નિર્ણયથી કેટલાય લોકોમાં નિરાશા અને ગુસ્સો પણ છે. સોશિયલ મિડિયા પર લોકો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.  

ટીડીબી એ દીવા અને વાસણની હરાજી કરવા જઇ રહ્યું છે, જે ભક્તો દ્વારા દાન કરાયા હતા. ટીડીબી હજુ તેનો હિસાબ કરી રહ્યું છે. તેના કારણે એક મોટી રકમ મળવાની આશા છે. કેરળમાં એવા ઘણા મંદિર છે, જેમાં ધાતુના દીપક અને વાસણોનું મોટી માત્રામાં દાન આવે છે. જેમ કે સબરીમાલા અને ગુરુવાયુર મંદિર. તેના એક-એક દીપકની કિંમત રૂપિયા ૩,૦૦૦થી ૫,૦૦૦ની વચ્ચે હોય છે. કેરળના તમામ મંદિરોમાં એવા મોટી માત્રામાં દીપક છે અને અન્ય વાસણ છે, જેનો કોઇ ઉપયોગ થઇ શકતો નથી.