લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, ફેબ્રુઆરી 2026 |
2178
નવી દિલ્હી, હંમેશા વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પોતાની જ પાર્ટીના નેતાઓ સામે મોરચો ખોલીને રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. તેમણે એક સરકારી કાર્યક્રમમાં કેરળના મુખ્યમંત્રીની ભરપેટ વખાણ કર્યા છે, તો રાહુલ ગાંધી વિરુદ્ધ કટાક્ષ કર્યો છે. એટલું જ નહીં, તેમણે શશિ થરૂર, પવન ખેડા અને જયરામ રમેશ જેવા દિગ્ગજ નેતાઓ સામે જાહેરમાં રોષ વ્યક્ત કર્યો છે.
તિવનંદપુરમમાં એક સરકારી કાર્યક્રમમાં ઐય્યરે કહ્યું કે, કેરળની વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન જ મુખ્યમંત્રી યથાવત્ રહેશે. કેરળે પંચાયતી રાજમાં ઘણી પ્રગતિ કરી છે અને કોંગ્રેસ આ ‘બેટન’ (નાની અને હળવી લાકડી)ને છોડી દીધી છે, તેથી જ વિજયને તે ઉઠાવવી જાેઈએ.
તેમણે કહ્યું છે કે, તેઓ ગાંધીવાદી અને રાજીવવાદી છે, પરંતુ રાહુલવાદી નથી. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે કે, તેઓ ભૂલી ગયા કે, ઐય્યર પાર્ટીના સભ્ય છે. અય્યરને ડૉ. આંબેડકરના જીવનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આજે કે. સી. વેણુગોપાલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, કોંગ્રેસે પવન ખેડા જેવા વ્યક્તિને સત્તાવાર પ્રવક્તા બનાવીને રાખ્યા છે. આખરે પાર્ટી આટલી મોટી મૂર્ખામી કેવી રીતે કરી શકે, તેઓ તો માત્ર કઠપૂતળી છે.
અય્યરે ખાસ કરીને પવન ખેડા પર આકરા પ્રહારો કરતાં તેમને પાર્ટીની ‘કઠપૂતળી’ ગણાવ્યા હતા. તેમણે ટીકા કરતાં કહ્યું કે, ‘ખેડા કોઈ વાસ્તવિક પ્રવક્તા નથી પરંતુ એક હતાશ પૂર્વ અધિકારી છે, જે છેલ્લા બે વર્ષથી તેમને અપશબ્દો કહી રહ્યા છે.’