નવરાત્રીના છઠ્ઠા સ્વરુપ મા કાત્યાયની સ્વરુપ ધ્યાનમાં નવદુર્ગાનું અનુપમ સ્વરુપ છે
22, ઓક્ટોબર 2020 9702   |  

અમદાવાદ-

આપણાં પૌરાણિક શાસ્ત્ર જણાવે છે તેમ મા કાત્યાયનીના સ્વરુપ ધ્યાનમાં નવદુર્ગાનું અનુપમ સ્વરુપ છે. તેમાં માતા કાત્યાયની ચતુર્ભૂજ છે. તેમના એક હસ્તમાં કમળ ધારણ કરેલું છે, બીજા હાથમાં તલવાર ધારણ કરી છે જેનું નામ ચંદ્રહાસા છે. મા કાત્યાયનીના તૃતીય અને ચતુર્થ હસ્ત અભયમુદ્રા અને વરદમુદ્દા દર્શાવે છે. માતાની સવારી સિંહ પર છે.

મા કાત્યાયનીના પ્રાક્ટય અંગે એક કથા અતિજાણીતી છે. પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્ય નામે એક પુત્ર હતા. ઋષિને પુત્રીની મહેચ્છા હતી. તેઓ મા ભગવતીના પરમ ઉપાસક હોવાથી તેમણે ઉગ્ર તપસ્યા કરી હતી. માતા ભગવતીને પોતાની ભક્તિથી પ્રસન્ન કર્યાં અને દેવી પાસેથી વરદાન ઇચ્છ્યું કે મા ભગવતી તેમની પુત્રી તરીકે અવતરે. આમ દેવી દુર્ગાનાં અવતાર એવાં ત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જન્મ્યાં અને કાત્યાયની કહેવાયા. એવી કથા પણ મળે છે કે જ્યારે મહિષાસુરના તાપસંતાપ પૃથ્વીના લોકોને અતિશય પ્રતાડિત કરી રહ્યાં હતાં ત્યારે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-ત્રિદેવે પોતાના તેજઅંશ અર્પણ કરીને મહિષાસુરમર્દિની દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને આ દેવીનું સૌપ્રથમ પૂજનઅચર્ન કર્યું તેનાથી દેવી કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયા. કાત્યાયનીને દાનવઘાતિની કહેવાયાં છે તે હેતુસર દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રકટ થઇ મા સ્વયં કાત્યાયનીના દીકરી તરીકે પ્રસ્થાપિત રહ્યા. માનું આ છટ્ટું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય છે.

નવરાત્રિના છઠ્ઠા દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોક, ભય, સંતાપ સઘળું નષ્ટ થાય છે. માતા કાત્યાયની સાથે સંકળાયેલ અન્ય એક વાત પણ જોડાયેલી છે, આ દેવીને મનગમતો જીવનસાથી મેળવવા માટે પણ આ દેવીને પ્રસન્ન કરવામાં આવે છે. બ્રહ્મમંડલના અધિષ્ઠાત્રી દેવીની ભક્તિથી ભક્તને સર્વાર્થ મળે છે. અર્થાત, ચારેય કામ- ધર્મ, અર્થ,કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભક્તનો પ્રભાવ વધે છે. મા કાત્યાયની જન્મજન્માંતરના પાપનો નાશ કરીને આધિવ્યાધિઉપાધિ હરે છે. માતા નવદુર્ગાને ભજવા માટેના નવલા નોરતામાં દુર્ગા સપ્તશતીના પાઠ કરનારાં ભક્તોને માટે માતાનું અલૌકિક અને અવ્યક્તાવ્યક્ત સ્વરુપ ચિત્તમાં ઊભરી આવે છે. ત્યારે અકથ્ય આનંદની અનુભૂતિ અને હર્ષાશ્રુ સાથે નિત્યક્રમમાં માના સ્મરણમાં વિવિધ પ્રકારે પુણ્યકાર્યો કરવા ઉત્સુક રહે છે. શત્રુનો નાશ કરનારા, વિશ્વાધિશ્વરી, પરબહ્મને જાણનારા, સઘળાં ભૂતોમાં પ્રવેશ કરનારા, મહામાયા સ્વરુપે સર્વવ્યાપ્ત રહેનારા શક્તિસ્વરુપાની વંદના કરીએ,

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution