લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026 |
2079
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા નિરાશાજનક પરિણામો બાદ હવે પક્ષમાં આંતરિક હલચલ તેજ બની ગઈ છે. તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ઘણા વિસ્તારોમાં કારમો પરાજય સહન કરવો પડ્યો છે. પરિણામે હવે પક્ષની અંદર આત્મમંથન સાથે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી છેલ્લા બે દિવસથી દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક માટે પ્રયત્નશીલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જાેકે કોંગ્રેસ હાઈકમાન્ડ હાલ કેરળના મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયામાં વ્યસ્ત હોવાથી ગુજરાતના મુદ્દે ચર્ચા મુલતવી રહી હતી. હવે ગુરુવાર બાદ ગુજરાત કોંગ્રેસના પરાજય અને આગામી વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખો, નિરીક્ષકો અને પ્રભારીઓ પાસેથી ચૂંટણી અંગેના અહેવાલ મંગાવવામાં આવ્યા હતા. આ અહેવાલોમાં પરાજય માટે અનેક કારણો સામે આવ્યા છે.