જુનાગઢ-

મહાનગરો – નગરપાલીકાઓ અને તાલુકા-જીલ્લા પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, તો એક તરફ ભાજપ પોતાની રીતે આટલી પાલીકા અને અટલી પંચાયત સહિત આટલી મહાનગરોની બેઠક જીતશે તેવા દાવા કરી રહ્યું છે અને બીજી તરફ એવા જ દાવા કોંગ્રેસ પણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સહિતનાં બીજા પક્ષો પણ મહત્વની ભૂમિકા ભજવશે તેવી રાજકીય વિષ્લેસકો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. તમામ વાતો અને સર્વે ઉપરાંતની અટકળો વચ્ચે ચૂંટણી સમયે રાજી-નારાજી પણ એક મોટો ભાગ ભજવશે તે પણ થોડા સમય પૂર્વે ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓ શિખવતી ગઇ છે.

રાજી-નારાજીનાં આવા જ કારણ સાથે જુનાગઢ જિલ્લામાં ભાજપમાં રાજકીય ભૂકંપ આવ્યાનું રાજકીય સિસ્મોગ્રાફિ યંત્ર પર નોંધવામાં આવી રહ્યું છે. જુનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. રાજીનામું આપનાર નીતિન ફળદૂ (ટીનુભાઈ) ઉમિયાધામ ગાઠીલાના પ્રમુખનાં પુત્ર છે અને વગદાર પાટીદારોમાં તેમનું નામ છે. નીતિન ફળદૂ દ્વારા ભાજપમાંથી રાજીનામું આપવા પાછળ જે કારણ આપવામાં આવ્યું છે તે પણ સાપ્રાંત સંજોગોમાં મોટો ભાગ ભજવી શકે તેવું જોવામાં આવી રહ્યું છે. રાજીનામું આપનાર નીતિન ફળદૂ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પાટીદારો સાથે અન્યાય મુદ્દે પોતે રાજીનામું આપ્યું છે. અને સાથે સાથે નીતિન ફળદૂ દ્વારા કેબિનેટ મંત્રી જવાહર ચાવડાથી નારાજગી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું હોવાની રાજકીય પરિપેક્ષમાં ચર્ચા છે.