17, સપ્ટેમ્બર 2025
વાનકુવર |
2079 |
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોનો વિરોધ ફરી એકવાર ભડક્યો
કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થકોનો વિરોધ ફરી એકવાર ભડક્યો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ SFJ એટલે કે શીખ્સ ફોર જસ્ટિસે વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ધમકી આપી છે. ઉપરાંત ભારતીયોને તે વિસ્તારમાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે, ભારત કે કેનેડિયન સરકાર દ્વારા આ અંગે સત્તાવાર કાંઈ કહ્યુ નથી.
આ અંગે મીડિયાના રીપોર્ટ મુજબ ખાલિસ્તાની જૂથે ગુરુવારે કોન્સ્યુલેટની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા લોકોને અલગ તારીખ પસંદ કરવા કહ્યું છે. SFJ દ્વારા એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કેનેડામાં નવા ભારતીય હાઈ કમિશનર દિનેશ પટનાયકનો ફોટો છે. તેમના ચહેરા પર નિશાન બનાવવાના ચિહ્નો છે. આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.
ખાલિસ્તાની જૂથનો આરોપ છે કે કોન્સ્યુલેટ દ્વારા ખાલિસ્તાનીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બે વર્ષ પહેલા 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, બે વર્ષ થઈ ગયા છે અને ભારતીય કોન્સ્યુલેટ ખાલિસ્તાની જનમતના પ્રચારકોને નિશાન બનાવીને જાસૂસી નેટવર્ક ચલાવી રહ્યું છે.