ચરોતરમાં પારો ગગડશે : હજુ ઠંડી વધશે!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ડિસેમ્બર 2020  |   1386

આણંદ : ઉત્તર ભારતમાં થઈ રહેલી ભારે હિમમવર્ષાને અને આણંદમાં માવઠાને લઈને ઉત્તર-પૂર્વ તરફના ઠંડા બર્ફિલા પવનો ફૂંંકાવાથી આણંદ-નડિયાદ શહેર સહિત ચરોતરમાં આજે સતત બીજા દિવસે કાતિલ ઠંડીનો સપાટો મહેસૂસ કરાયો હતો. ગઈકાલ કરતાં પણ આજે તાપમાનમાં વધુ ઘટાડો થતાં લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું હતું. આજે ચરોતરમાં ઠંડીને કારણે જનજીવનને અસર થઈ હતી. 

ઉત્તર ભારતમાં થઈ રહેલી ભારે હિમવર્ષા અને ચરોતરમાં બે દિવસથી પલટાયેલાં વાતાવરણને પગલે ઉત્તર-પૂર્વ તરફના ઠંડા બર્ફિલા પવનો ફૂંંકાવાથી ચરોતરમાં લોકો ઠુંઠવાઈ ગયાં હતાં. લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયો હતો. બીજી તરફ માવઠાંને કારણે ચરોતરના જનજીવનને વ્યાપક અસર જાેવા મળી હતી.

આણંદમાં વાતાવરણમાં પલટાં બાદ માવઠાને લઈને દિવસે પણ ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. આણંદ સહિત સમગ્ર ચરોતરમાં થયેલાં માવઠાને કારણે ઠંડીનો કાતિલ અહેસાસ થઈ રહ્યો છે. આજે દિવસ દરમિયાન પણ માવઠાં જેવી જ સ્થિતિનું નિર્માણ થતાં ઠંડી વધી હતી. સવારે ધુમ્મસ જેવું વાતાવરણ છવાઈ જતાં તાપમાન ઘટીને ૨૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. સાંજ બાદ ઠંડીમાં વધારો થતાં લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બાન્સને લીધે બે દિવસથી આણંદ સહિત ચરોતરના વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠું પણ થયું છે. સાથે સાથે વરસાદી માહોલ જેવું વાતાવરણ સર્જાયું છે, જેને લઈને ઠંડીનો જાેરદાર અહેસાસ થઈ રહ્યો છે. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની હવે ફરજ પડી રહી છે. હવામાન વિભાગના વર્તારા મુજબ વરસાદી વાદળો હટ્યાં બાદ ઠંડીનો ચમકારો શરૂ થશે. ડિસેમ્બર મહિનો હવે મધ્યાહને પહોંચ્યો હોવા છતાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી વધુ જ નોંધાઈ રહ્યો છે. જાેકે, આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા જાેવાઈ રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution