જૂઓ રાજ્યમાં ખનીજચોરોને આ મંત્રીએ કેવી ચેતવણી આપી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, માર્ચ 2021  |   3564

ગાંધીનગર-

ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા ખાણો/લીઝોમાં કરવામાં આવેલા ચેકીંગ સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં અનધિકૃત રેતી ખનન બિલકુલ ચલાવી લેવાશે નહીં. રાજ્યમાં થતી ખનીજ ચોરી અટકાવવા તથા ખનીજ ચોરોને પકડવા માટે ખાણ-ખનીજ ખાતાની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા માહિતી મુજબ રાજ્યભરમાં આકસ્મિક ચેકીંગ કરી દરોડા પાડવામાં આવે છે. એટલું જ નહિ, ફ્લાઇંગ સ્કવોર્ડ ઉપરાંત આ ખાતા દ્વારા ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ પણ કરવામાં આવે છે. મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ખાણો/લીઝોના ચેકીંગની કાર્યવાહીમાં હાલ કોઇપણ પ્રકારની રાજકીય દખલગીરી રહી નથી. આ કાર્યવાહીમાં રાજકીય દખલગીરી બિલકુલ ચલાવી ન લેવા માટે પણ તંત્રના અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આકસ્મિક દરોડાઓ પાડીને છેલ્લા બે વર્ષમાં રૂા. ૨૦૮ કરોડની ખનીજ ચોરી પકડી કડક કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ફ્લાઇંગ સ્કવોર્ડની ચેકીંગ કામગીરીમાં તો પારદર્શતા છે જ, પરંતુ લીઝ આપવાની પ્રક્રિયામાં પણ રાજ્ય સરકારે પારદર્શીતા લાવીને ઇ-એકશન કરી દેવાયું છે. જેને કારણે અગાઉ જે વગદારો જ લીઝ મેળવી લેતા હતા તે પ્રક્રિયા બંધ થઇ છે અને સરકારની આવકમાં પણ વધારો થયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution