મોરબી-

જિલ્લાના પીપળી રોડ બેલા ગામની સીમમાં પાણીપુરીની લારીએ નાસ્તો કરવા ગયેલા યુવાનને એક શખ્શે ફડાકા ઝીંકી દીધા હતા તેમજ વડીલને બોલાવવાનું કહેતા એક આધેડ આવ્યા હોવાથી આરોપીએ માર માર્યો હતો, જેમાં આધેડનું સારવારમાં મોત થયું છે અને આ બનાવ હત્યામાં પલટાયો હોવાથી આ મામલે હત્યાની કલમ ઉમેરી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મૂળ અરવલ્લી જીલ્લાના રહેવાસી અને હાલ પીપળી રોડ પરની સ્પેનો સિરામિકમાં રહીને મજૂરી કરતા શંકરભાઈ ઉર્ફે દિનેશભાઈ ખુમાભાઇ ખાંટ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તે સેલ્જા સિરામિક પાસે પાણીપુરીની લારીએ નાસ્તો કરવા ગયો હતો, ત્યારે આરીફ આલમ શા સૈયદ પાણીપુરી ખાવા આવ્યો હતો અને તેને એવું લાગ્યું કે, કાજલબેને એ ઈસમને કહ્યું કે, તે અમારી પાછળ આવે છે જેથી આરોપી આરીફ આલમશા સૈયદ ફરિયાદી શંકર ખાંટને કાઠલો પકડીને બે-ત્રણ ફડાકા મારી લીધા હતા અને આ છોકરી ખોટું બોલે છે તેમ જણાવ્યું. તું તારા ઘરેથી કોઈ મોટા માણસને અત્યારે જ બોલાવ તેમ કહેતા રમણભાઈને બોલાવતા તે આવતા તેની સાથે પણ ઝઘડો કરીને માર મારી ઈજા પહોંચાડી હતી. જે બાદ ઈજાગ્રસ્ત આધેડ રમણભાઈને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે અને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે, ત્યારે તાલુકા પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.