લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026 |
1782
ગાંધીનગરનાં લેકાવાડાથી ગિફ્ટ સિટી તરફ જતા માર્ગ ઉપર, ૧૬ બાળકો ભરેલી એક સ્કૂલવાન પલટી જતા, ૯ જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જે પૈકી ચાર જેટલા બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે અન્ય બાળકોને સામાન્ય સારવાર આપીને રજા આપી દેવાઈ હતી. ગાંધીનગર નજીક આવેલા ચિલોડા ખાતે કેન્દ્રીય વિદ્યાલય નંબર - ૩ આવેલી છે. રાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપતી આ શાળાના બાળકોને લઈને જતી એક સ્કૂલ વાન પાલજ નજીક પલટી મારી ગઈ હતી. આ સ્કૂલ વાન પલટી મારી જતા વાનમાં બેસાડેલા ૧૬ જેટલા બાળકોની ચીસોથી, વાતાવરણ થોડી ક્ષણો માટે દર્દનાક બની ગયું હતું. જાેકે ટાયર ફાટવાને કારણે સ્કૂલવાને પલટી મારતા જ, આસપાસથી અનેક લોકો દોડી આવ્યા હતા. મદદ માટે આવેલા લોકોએ બાળકો તથા વાનના ચાલકને બહાર કાઢીને સ્કૂલવાન ઊભી કરી હતી. વાન પલટી મારી જતા અંદરથી બહાર કઢાયેલા બાળકો થોડીક ક્ષણો માટે હતપ્રભ બની ગયા હતા. બાળકોની કાગડોળે રાહ જાેઈ રહેલા વાલીઓને આ દુર્ઘટનાની જાણ થતા, બેબાકળા બનેલા વાલીઓ અકસ્માતના સ્થળ અને સિવિલ હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા. આ અકસ્માતને પગલે, ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તાત્કાલિક સ્થળ ઉપર ઘસી ગયેલી એમ્બ્યુલન્સ વાનના પાયલોટ અનિલભાઈ અને ઈસ્ દ્વારા અનેક બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત બાળકોને અલગ અલગ વાહન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જાે કે ચાર જેટલા બાળકોને પહોંચેલી ઈજાની સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. અન્ય વિદ્યાર્થીઓને થયેલી નાની મોટી ઈજામાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેઓને રજા આપી દેવાઇ હતી. આ અકસ્માતની જાણ થતા શાળાના શિક્ષકો પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર બાયપાસ માટે ખાસ ઉપયોગમાં લેવાતા આ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો. જ્યારે સુખદ હકીકત એ સામે આવી રહી છે કે સ્કૂલ વાનમાં રહેલા સીએનજી સિલિન્ડરમાં જાે આગ લાગી હોત તો, મોટી દુર્ઘટના થવાની દહેશત પણ સ્થળદર્શીઓમાં પેદા થવા પામી હતી. સ્કૂલવાનની અંદર રહેલા સી એન જી સિલીન્ડરને કારણે કોઈ દુર્ઘટના બનવા પામી હોત તો બાળકોની થનારી અવદશાની કલ્પનાથી જ કંપારી છૂટી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી.