પાંચમાં દિવસે ભક્તોએ વાજતે ગાજતે દુંદાળાદેવને વિદાય આપી
15, સપ્ટેમ્બર 2021 198   |  

વડોદરા , તા. ૧૪

ગણેશ ઉત્સવનો પાંચમો દિવસ હોવાથી અનેક ભક્તોએ શ્રીજીનું વાજતે –ગાજતે વિસર્જન કર્યું હતું.ગાઈડ લાઈનના પાલન હેઠળ વિવિધ ભક્તોએ પોતાના ઘર આંગણે , સોસાયટી ,મહોલ્લા , પોળોમાં તેમજ કુત્રિમ તળાવોમાં દુંદાળાદેવનું વિસર્જન કરીને વિદાય આપી હતી.

ગણેશ ઉત્સવ સમગ્ર ભારતમાં દસ દિવસ ઉજવવામાં આવે છે. અનેક ભક્તો તેમની આસ્થા અનુસાર બીજા , પાંચમા , સાતમા અને દસમા દિવસે પ્રથમ પુજનીય દેવ ગણપતિનું વિસર્જન કરવામાં આવેછે. ગણેશ ઉત્સવના પાંચમા દિવસે બહોળી સંખ્યામાં ભક્તો શ્રીજીનું વિસર્જન કરતા હોય છે.છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ હોવાથી અનેક યુવક મંડળો ગણેશઉત્સવની ઉજવણી ન કરી શક્યા હતા. પરતું આ વર્ષે શરતી મંજુરી મળતા અનેક નાના- મોટા યુવક મંડળો તેમજ વિવિધ ભક્તો દ્વારા ઘર આંગણે , સોસાયટીઓ , મહોલ્લામાં , પોળોમાં તેમજ કુત્રિમ તળાવોમાં દુંદાળાદેવનું વિસર્જન કર્યું હતું. શહેરીજનોમાં પર્યાવરણ વિશેની જાગૃતતા આવતા મોટાભાગના ભક્તોએ પોતાના ઘરઆંગણે જ વિસર્જન કર્યું હતું. તે સિવાય કોર્પોરેશન દ્વારા શહેરમા વિવિધ વિસ્તારોમાં કુત્રિમ તળાવો ખાતે ગાઈડ લાઈનનું પાલન થાય તે માટે ચુસ્ત પોલિસ બંદોબસ્તની સાથે તરાપા , રબર બોટોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રેલ્વે એમ્પલોઈઝ યુનિયન દ્વારા આંગણામાં જ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું.

રેલ્વે એમ્પલોઈઝ યુનિયન દ્વારા પાંચમા દિવસે મહા આરતીની સાથે છપ્પનભોગનો કાર્યક્રમ યોજીને દુંદાળાદેવને આંગણામાં જ વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર તેમજ ભાજપ અગ્રણી રાજેશ આયરે જાેડાયા હતા.તે સિવાય આજવા રોડ સ્થિત પરીવાર વિદ્યાલય ખાતે પણ શાળાના પ્રાંગણમાં જ દુંદાળાદેવને વિદાય આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution