પંચમહાલ-

પંચમહાલના કાલોલ તાલુકાના વાછાવડ ગામે ફોન કરી હેરાન કરતા પુરુષને મારમારી મોતને ઘાટ ઉતારવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. કાલોલ તાલુકાના વાછાવડ ગામે રહેતા હર્ષદ કુમાર પરમારે વેજલપુર પોલીસમથકે આપેલી ફરિયાદ મુજબ વાછાવડ ગામે ખેડા ફળિયામાં શુક્રવારે આયોજિત કાવતરું રચીને મારા પિતા કિરીટભાઈને ગીતાબેન પરમારે બોલાવ્યા હતા. તેના પતિ ભૂપેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, તું મારી પત્નીને કેમ હેરાન કરે છે, તેમ કહી અપશબ્દો બોલી માર માર્યો હતો. ગુપ્તાંગ પર લાતો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં કિરીટસિંહને ગોધરા સારવાર માટે લાવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.

કિરીટભાઈનું મોત નિપજતા સમગ્ર મામલે વેજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વાછાવડ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર મામલે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જયારે FSLની મદદ લઈને તમામ પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા હતા.ગણતરણીની કલાકોમાં જ આરોપીઓની ધરપકડ પોલીસે મૃતક કિરીટભાઈના પુત્રની ફરિયાદના આધારે કિરીટભાઈ પર હુમલો કરનાર તેમજ તેમને બોલાવનાર મહિલા સામે કાવતરું રચી હત્યા કરવા અંગેનો ગુન્હો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરી હતી . પોલીસ દ્વારા ગણતરણીના કલાકોમાં જ સમગ્ર મામલાના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.