રાજકોટ-

કોંગ્રેસના વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટરના પતિ મયુરસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં વ્યાજે રૂપિયા આપીને ફ્લેટ પર કબજો લીધો અને દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મયુરસિંહની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટના વોર્ડ નંબર-18ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ મયુરસિંહ સતુભા જાડેજાનું નામ દેહવ્યાપારનો ધંધો કરવામાં સામે આવતા A- ડિવિઝન પોલીસે મયુરસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મયુરસિંહ સામે વ્યાજે રૂપિયા આપીને ફ્લેટ પર કબજો મેળવ્યાની પણ ફરિયાદ નોંધાઇ છે. મયુરસિંહ સતુભા જાડેજા પાસેથી જાતિનભાઈએ પાંચ લાખ રૂપિયા માસિક પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જે રૂપિયા પરત આપવા માટે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જતીનભાઈ પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા પોતાના મોટાબાપુના ફ્લેટનું ધ્યાન રાખતા હતા અને એ ફ્લેટની ચાવી તેમની પાસે હોવાની જાણ મયુરસિંહને થતાં તેમણે રૂપિયા પરત ન આપે ત્યાં સુધી ફરીયાદી પાસેથી ફલેટની ચાવી જબરદસ્તીથી લઇ ફલેટમાં કબજો કરી લીધો હતો આ અંગે ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 386, 506 (2) અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011ની કલમ 5, 40, 42 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.