રાજકોટ-

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2021-22 માટે કરબોજ વગરનું 2275 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.ગત વર્ષ કરતા આ વર્ષે 72 ટકા રિવાઇઝડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.આજે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને બજેટ સોંપ્યુ હતું.  બજેટમાં ટ્રાફિક,પાણી,ડ્રેનેજ,પર્યાવરણ ,આરોગ્ય સહિત તમામ વિભાગોને આવરી લેવામાં આવ્યા છે.આ વખતે નવા ભળેલા વિસ્તારોમાં પાણી,સફાઇ અને ડ્રેનેજના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ખાસ બજેટની જોગવાઇ કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે શહેરમાં ચાર નવા ઓવરબ્રિજ અને એક અંડરબ્રિજ તૈયાર કરાશે. આજી નદીના બંને તરફ ઈન્ટર સેપટીંગ સીવર અને અન્ય કામો માટે સામાન્ય રકમ ફાળવાઈ

નવનિયુકત મેયર ડો.પ્રદિપ ડવે આજી રિવરફ્રન્ટ પ્રોજેકટને પોતાનો મહત્વકાંક્ષી અને ડ્રિમ પ્રોજેકટ ગણાવ્યો છે. વર્ષોથી મહાપાલિકાના સત્તાધીશો આજી રિવરફ્રન્ટ પ્રોજેકટને સાકાર કરવાની મસમોટી વાતો કરે છે પરંતુ આ પ્રોજેકટ આજ સુધી સાકાર થયો નથી. રામનાથ મહાદેવ આજે પણ ગંદકીમાં બિરાજમાન હોય તેવું ભાવિકો મહેસુસ કરી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં મહાદેવ પરથી જાણે ગટરના પાણી વહેતા હોય તેવો ભાસ થતો હોય છે. આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કદની દ્રષ્ટિએ ઐતિહાસિક કહી શકાય તેવું મહાપાલિકાનું 2275.80 કરોડનું કદાવર બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે પરંતુ તેમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેકટની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. માત્ર હાજરી પુરાવવા પુરતી નાણાકિય જોગવાઈ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.