અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કફ્ર્યૂ લાદવામાં આવ્યો છે. તેની સાથે કેટલાક નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યાં છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ અસોસિસએશન ગુજરાત ચેપ્ટરએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની સ્થિતિ ઘણી મહેનત અને તણાવ બાદ નિયંત્રણમાં આવી છે. જેથી વિનંતી કરીએ છીએ કે, ફરીથી કોરોનાને પ્રસરતો અટકાવવા માટે ૩૬ શહેરોમાં નાઈટ કફ્ર્યૂ અને નિયંત્રણો સહિત આંશિક લોકડાઉન આગામી ૩૧મી મે સુધી લંબાવવું જાેઈએ.

આઇએમએના ગુજરાતના પદાધિકારીઓ ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાતમાં કોવિડ-૧૯ની બીજી લહેર બાદ કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે સમયસર આંશિક લોકડાઉન લાદી દેતા આ શક્ય બન્યું હતું. જેમાં તમામ બિન-જરૂરી સેવા બંધ રાખવામાં આવી છે અને ઘર બહાર નીકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જેના પરિણામરુપે કોરોનાના કેસ ઘટ્યા છે. આઇએમએના પદાધિકારીઓએ ચેતવણી આપી કે, ભૂતકાળના અનુભવ મુજબ, આગામી થોડાક દિવસોમાં આંશિક લોકડાઉનમાં રાહત આપવી અથવા હટાવી લેવું તે ભૂલ ગણાશે. જાે આમ કરવામાં આવશે તો જે કેસ ઓછા થયા છે તે ફરી વધી જશે. આ સિવાય લોકોના જીવન ગુમાવ્યા સિવાય તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ થશે. ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકારે ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન શુક્રવાર સુધી લંબાવ્યું છે અને વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો ર્નિણય લેશે તેવી શક્યતા છે.