નવી દિલ્હી

હાલમાં જ ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સ્ટાર રિહાના સહિત ઈન્ટરનેશનલ સેલેબ્સે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ત્યારબાદ દેશ માટે ભેગા થવાની વાત બોલિવૂડ સેલેબ્સે કરી હતી. આ સેલેબ્સે #IndiaTogether અને #IndiaAgainstPropaganda જેવા હેશટૅગ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરાવ્યા હતા. ઈન્ડિયન ક્રિકેટર્સે પણ આ હેશટૅગથી સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ક્રિકેટર રોહિત શર્માએ પણ ભારત એકતા પર વાત કરી હતી. જોકે, કંગનાએ તેને ખરું-ખોટું સંભળાવી દીધું હતું. પછીથી કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. આ પહેલાં કંગનાએ તાપસીને પણ આડે-હાથ લીધી હતી.


રોહિત શર્માએ કહ્યું હતું, 'જ્યારે પણ આપણે સાથે ઊભા રહ્યાં છીએ ત્યારે ભારત હંમેશાં સ્ટ્રોંગ બન્યું છે. હાલ સમાધાન કરવું જરૂરી છે. આપણાં દેશની ભલાઈમાં આપણાં ખેડૂતો મહત્ત્વનો રોલ ભજવે છે. મને આશા છે કે આપણે સાથે મળીને કંઈક રસ્તો કાઢીશું. #IndiaTogether'

કંગનાએ રોહિત શર્માને આ પોસ્ટ પર ખરું-ખોટું સંભળાવ્યું હતું. કંગનાએ કહ્યું હતું, 'શા માટે બધા ક્રિકેટર્સ ધોબીના કૂતરા ના ઘરના ના ઘાટના જેવા લાગી રહ્યાં છે. ખેડૂતો આવા કાયદાની વિરુદ્ધમાં કેમ જશે, જે તેમના ભલા માટે છે. આ ક્રાંતિક્રારી પગલું છે. જે તોફાન કરે છે તે તમામ આતંકવાદીઓ છે. એવું કહો, કેમ આટલો ડર લાગે છે?' જોકે, કંગનાએ ગણતરીની મિનિટમાં આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.