લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુલાઈ 2026 |
2079
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે અને એક અઠવાડિયામાં આખા મામલાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, અમે સમજી શકીએ છીએ કે હાલ તપાસ ચાલી રહી છે. આ સાથે જ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી એસઆઇટીનો સ્ટેટસ
રિપોર્ટ પણ મંગાવ્યો છે. હાલ સુરક્ષા અને ગુપ્તતાના કારણોસર આ રિપોર્ટની નકલ અરજીકર્તાઓને આપવામાં નહીં આવે અને તેને સીલબંધ પરબિડીયામાં જ કોર્ટ સમક્ષ રજૂ કરાશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચ દ્વારા આ મામલે દાખલ ચાર અરજીઓ પર સુનાવણી શરૂ કરાઈ છે, જેની આગામી સુનાવણી ૨૦મીએ હાથ ધરાશે. રામ મંદિરમાં દાન તરીકે આવેલા દાનની ચોરીના આ ગંભીર મામલામાં હવે હિન્દુ ધર્મ પરિષદ પણ સુપ્રીમ કોર્ટના શરણે ગઈ છે. સંસ્થાએ માંગ કરી છે કે આ કથિત દાન ચોરીની તપાસ સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ થવી જાેઈએ, જેથી કરીને આખી પ્રક્રિયા પારદર્શક રહે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ ચાર અરજીઓ દાખલ થયેલી છે, જેમાં વકીલ નરેન્દ્ર કુમાર ગોસ્વામી, અજય કુમાર રાય અને આરજેડી સાંસદ સુધાકર સિંહની અરજીઓ સામેલ છે. બે અરજીમાં મામલાની સીબીઆઇ તપાસ કરાવવાની માગ કરાઈ છે, જ્યારે અન્ય એક અરજીમાં પુરાવાઓ સુરક્ષિત રાખવા અને મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની અપીલ કરાઈ છે.