લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ફેબ્રુઆરી 2026 |
2475
કોલંબો, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સૌથી મોટો મુકાબલો એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની પૂર્વસંધ્યાએ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઇન્ડિયા કોઈ પણ પડકારને પહોંચી વળવા તૈયાર છે. છેલ્લી મેચમાં પેટની તકલીફને કારણે બહાર રહેલા આક્રમક ઓપનર અભિષેક શર્મા હવે ફિટ છે અને પાકિસ્તાન સામેની હાઈ-પ્રોફાઈલ મેચમાં ધમાકેદાર વાપસી કરશે.
રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ નિવેદન આપ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે અભિષેક શર્મા આ મેચમાં રમે. આ વાતનો જવાબ આપતા સૂર્યકુમારે રમૂજી અંદાજમાં કહ્યું, જાે તેઓ (પાકિસ્તાન) ઈચ્છે છે કે અભિષેક રમે, તો અમે ચોક્કસપણે તેમને કાલે મેદાનમાં ઉતારીશું. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારતીય છાવણીમાં આત્મવિશ્વાસ છલોછલ છે.
પાકિસ્તાનના નવા મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિક અંગે પૂછાયેલા સવાલ પર સૂર્યાએ કડક શબ્દોમાં કહ્યું, અમે ઉસ્માન તારિક સામે સરેન્ડર કરી શકીએ નહીં. અમે અગાઉ પણ આવા અઘરા બોલરોનો સામનો કર્યો છે અને આ વખતે પણ અમારી પાસે તેનો તોડ તૈયાર છે.
એક પત્રકારના સવાલ- શું પાક. ટીમ સાથે ભારતીય ખેલાડીઓ હાથ મિલાવશે?પર જવાબ આપતાં ભારતીય કપ્તાન સૂર્યકુમારે કહ્યું કે, ૨૪ કલાક રાહ જુઓ, ટોસ સમયે ખબર પડી જશે કે અમે શું નક્કી કર્યું છે.
કોલંબોના અનિશ્ચિત હવામાન અંગે કેપ્ટને કહ્યું કે વરસાદ પર અમારો કાબૂ નથી, પણ સારું ક્રિકેટ રમવંક એ અમારા હાથમાં છે. અમે આ મેચ માટે માનસિક રીતે પૂરેપૂરી રીતે તૈયાર છીએ અને અમારું ધ્યાન માત્ર અમારી પ્રોસેસ પર છે. સૂર્યકુમાર યાદવની પ્રેસ કોન્ફરન્સ જાેતા લાગે છે કે ટીમ ઇન્ડિયા માત્ર રમત પર જ નહીં, પણ પાકિસ્તાન સામેના માઇન્ડ ગેમ્સ પર પણ પૂરો કાબૂ ધરાવે છે. અભિષેક શર્માની વાપસી પાકિસ્તાની બોલરો માટે ચોક્કસપણે મુશ્કેલી ઉભી કરશે.