આરોપીઓનું જેલ બહાર મીઠાઈ અને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ઓગ્સ્ટ 2022  |   3069

ગોધરા,તા.૧૬

૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહેલા ૧૧ દોષિતોની મુક્તિના એક દિવસ પછી, તેના પતિએ કહ્યું કે તેમને મીડિયામાંથી તેમની મુક્તિ વિશે જાણ થઈ. સોમવારે ગોધરા જેલમાંથી મુક્ત થયા બાદ ગર્ભવતી બિલ્કીસની ત્રણ વર્ષની પુત્રીની હત્યાના આરોપીઓનું જેલ બહાર મીઠાઈ અને હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. બિલકીસ બાનોના પતિ યાકુબ રસૂલે જણાવ્યું કે અમને જાણીને આશ્ચર્ય થયું કે ગુનેગારોને છોડી દેવાયા છે.ગોધરામાં સાબરમતી ટ્રેનની ઘટના બાદ ફાટી નીકળેલી હિંસામાંથી ભાગતી વખતે બિલકીસ બાનો ૨૧ વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. રસૂલે કહ્યું કે અમને ખબર નથી કે દોષિતોએ તેમની અરજી ક્યારે ફોરવર્ડ કરી અને રાજ્ય સરકારે શું વિચાર્યું. અમને ક્યારેય કોઈ સૂચના મળી નથી. રસૂલે કહ્યું કે સરકારે સૂચના મુજબ પરિવારને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. પરંતુ હજુ સુધી સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ કોઈ નોકરી કે મકાન આપવામાં આવ્યું નથી. રસૂલે કહ્યું કે તે તેની પત્ની અને પાંચ પુત્રો સાથે છુપાઈને રહે છે, સૌથી મોટો પુત્ર ૨૦ વર્ષનો છે. ૨૦૦૮માં મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યો સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં ૧૧ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેની સજા યથાવત રાખી હતી. શૈલેષ ભટ્ટે દાવો કર્યો હતો કે તે રાજકારણનો શિકાર છે. ૬૩ વર્ષીય ભટ્ટે કહ્યું કે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ ભાજપનો કાર્યકર્તા હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution