વડોદરા, તા.૯

વડોદરા તાલુકાના અંકોડિયા ગામે રહેતા ૫૮ વર્ષિય આધેડ અંકોડિયા-શેરખી ગામની કેનાલમાં ડુબી લાપતા બન્યા બાદ આજે તેમનો મૃતદેહ અંપાડ ગામની સીમના કેનાલમાંથી મળી આવ્યો હતો. તાલુકા પોલીસે આ બનાવ મામલે કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો.

માહિતગાર સુત્રોના જણાવ્યા અનુસાર, અંકોડિયા ગામે રહેતાં જગદીશભાઇ ચતુરભાઇ પટેલ (ઉ.૫૮) ગત તા.૭મીના રોજ બાઇક ઉપર ગામ તરફ આવી રહ્યા હતાં. તે દરમિયાન તેઓ અંકોડિયા શેરખી ગામની નર્મદા કેનાલના રોડ ઉપર બાઇક પાર્ક કરીને નર્મદા કેનાલની પારી ઉપર આરામ કરવા બેઠા હતાં. એ દરમિયાન તેઓ કેનાલની પારી ઉપરથી અચાનક પાણીમાં ગબડી પડતાં પાણીના વહેણમાં તણાઇ ગયા હતાં. અને ડુબીને મોતને ભેટી લાપતા બન્યા હતાં. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરની રેસ્ક્યુ ટીમે કેનાલમાં શોધખોળ ચાલુ રાખી હતી. દરમિયાન ૪૮ કલાક બાદ જગદીશભાઇ પટેલની લાશ અંપાડ ગામની કેનાલમાંથી મળી આવી હતી.

જાણકાર સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક જગદીશભાઇનો પરિવાર વિદેશ ઓસ્ટ્રેલિયામાં રહે છે. જ્યારે તેમના પત્ની પગની તકલીફને કારણે ચાલી શતા ન હોવાથી પોલીસ દ્વારા તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.